1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિના જન્મદિવસની PM મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિના જન્મદિવસની PM મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિના જન્મદિવસની PM મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી

0
Social Share

નવી દિલ્હી, 20 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિની જાહેર સેવાના અદ્ભુત પ્રવાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમનું જીવન દેશના કરોડો લોકો માટે એક મહાન પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ પણ રાષ્ટ્રપતિજીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું: “ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. સાહસ, સરળતા, નમ્રતા અને જાહેર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ભરેલી તેમની જીવનયાત્રા દેશભરના લોકોને સતત પ્રેરણા આપી રહી છે.”

રાષ્ટ્રનિર્માણ અને સમાજ કલ્યાણમાં રાષ્ટ્રપતિ મુર્મુના યોગદાનને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, “જાહેર જીવનમાં પોતાના લાંબા વર્ષો દરમિયાન તેમણે દેશની ઉત્કૃષ્ટ સેવા કરી છે, ખાસ કરીને વંચિતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકોના કલ્યાણ માટે તેઓ હંમેશા ઉત્સાહી રહ્યા છે. ભારતના વિકાસ પ્રત્યેનું તેમનું સમર્પણ ખૂબ જ પ્રેરણાદાયક છે. હું દેશની સેવામાં તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. આજે ઓડિશાના કાર્યક્રમમાં તેમને મળવા માટે હું ઉત્સુક છું.”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાષ્ટ્રપતિ મુર્મુની બંધારણીય મૂલ્યો પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. તેમણે ‘X’ પર લખ્યું કે, “મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીને જન્મદિવસની સાદર શુભેચ્છાઓ. આપનું સરળ જીવન, આદિવાસી સમાજના ઉત્થાન માટેનું અવિરત સમર્પણ અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા દેશના તમામ નાગરિકો માટે આદર્શ પ્રેરણા છે. હું ભગવાન શ્રી જગન્નાથ જી પાસે આપના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરું છું.”

  • સંઘર્ષથી રાષ્ટ્રપતિ ભવન સુધીની પ્રેરણાદાયી સફર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ પદભાર સંભાળીને દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બિરાજમાન થનારા પ્રથમ આદિવાસી મહિલા અને સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા. આ પૂર્વે તેઓ 2015થી 2021 દરમિયાન ઝારખંડના 9મા રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે.

ઓડિશાના મયુરભંજ જિલ્લાના ઉપરબેડા ગામમાં એક સંથાલ આદિવાસી પરિવારમાં જન્મેલા રાષ્ટ્રપતિ મુર્મુનું જીવન સંઘર્ષ અને દ્રઢ સંકલ્પની અજોડ વાર્તા છે. ગામની પ્રાથમિક શાળામાંથી શિક્ષણ શરૂ કરીને તેઓ ભુવનેશ્વર સુધી ભણ્યા અને પોતાના ગામમાંથી મેટ્રિક પાસ કરનારી તથા કોલેજની ડિગ્રી મેળવનારી પ્રથમ યુવતી બન્યા હતા. તેમણે ૧૯૭૯માં રમાદેવી વિમેન્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તમામ સામાજિક અને આર્થિક પડકારોને પાર કરીને તેમણે જાહેર સેવામાં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. એક અંતરિયાળ આદિવાસી ગામથી શરૂ કરીને રાષ્ટ્રપતિ ભવન સુધીની તેમની આ સફર આધુનિક ભારતના ઈતિહાસની સૌથી પ્રેરણાદાયી ક્ષણોમાંની એક છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code