- ફાયબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી
- કાટમાળ નીચેથી 3 વ્યક્તિઓને બહાર કઢાઈ
અમદાવાદઃ શહેરમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન શહેરના કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાસે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેના કાટમાળ નીચે 3 વ્યક્તિઓ દબાયાં હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ હટાવીને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડના જવાનો સાથે સ્થાનિકો પણ જોડાયાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુર વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર પાસે નવા વાસમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ મકાનના કાટમાળ નીચે 3 વ્યક્તિઓ દબાયાં હતા. ફાયર વિભાગે કાટમાળમાંથી એક મહિલા અને એક પુરૂષને બહાર કાઢ્યા હતાં બંને જણાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.કાટમાળમાં દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ફાયર વિભાગની સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે જોડાયા છે. ફાયરવિભાગે ત્રણેય વ્યક્તિઓને કાટમાળ નીચેની બહાર કાઢતાં રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણમાંથી એક વ્યક્તિને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અષાઢીબીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાવાની છે, દરમિયાન મનપાએ રથયાત્રાના રૂટ ઉપર આવતા જર્જરિત મકાનોના માલિકને નોટિસ પાઠવી હતી. તેમજ મકાન ઉતારી લેવા તથા તેનુ સમારકામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.