ગુજરાત સરકાર દ્વારા આઉટસોર્સ-કોન્ટ્રાક્ટથી કરાતી ભરતીમાં યુવાનોનું થતું આર્થિક શોષણઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓનો નોકરી કરી રહ્યા છે. બીજી બાજુ સરકારના જુદા જુદા વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ છે. ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ભરતી કરીને યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. ગુજરાત સરકાર કાયમી ભરતી પ્રક્રિયા ન કરીને 10 લાખથી વધુ આઉટ સોર્સીંગ, કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ યુવાનોનું શોષણ કરી રહી છે. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં જાહેર સેવા અંગેના નાગરિક સંસ્થા નિયમ-2013ને 10 વર્ષથી લાગુ ન કરીને ગુજરાતની જનતાને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. નાગરિક અધિકાર કાયદો લાગુ ન થવાથી ગુજરાતના નાગરિકોના હક્ક અધિકાર મેળવવા પારાવાર મુશ્કેલી પડી રહી છે. જાહેર જનતા જ્યાં સીધાં સંપર્કમાં આવે છે તેવા વિભાગોમાં 50 ટકા થી વધુ જગ્યાઓ ખાલી છે. રોજબરોજની જરૂરિયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. મહત્વના પદ પર નિવૃત્ત બાદ કરાર આધારિત અધિકારીઓ અડીંગો જમાવીને બેઠા છે. કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન કરવા માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાના મુખ્ય ઓપરેશન પરના અધિકારીઓ સાત વર્ષથી નિવૃત્તી પછી સત્તા ભોગવી રહ્યાં છે. સરદાર સરોવર સહિતના મહત્વના પ્રોજેક્ટમાં 45 ટકા કરતાં વધારે જગ્યા ખાલી છે. ગુજરાતમાં 4,69,133 કાયમી કર્મચારીનું મહેકમ છે. સરકાર જે કાયમી ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી 10 વર્ષમાં ગુજરાતના અનેક વિભાગો કર્મચારી વિનાના ખાલી થઈ જશે. સરકાર કાયમી ભરતી પ્રક્રિયા ન કરીને 10 લાખથી વધુ આઉટ સોર્સીંગ, કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજય સરકારના વૈધાનિક અને સંસદીય બાબતનો વિભાગ એક્સટેન્શન વાળા અધિકારીઓનુ જ રાજ ચાલી રહ્યુ છે. લાયકાત ધરાવતા અધિકારીઓ બઢતી મેળવ્યા વગર જ રિટાયર્ડ થઈ જાય છે.પરિણામે વિભાગની કામગીરીને સીધી અસર જોવા મળે છે. આ નિવૃત્ત અધિકારીઓ નિવૃત્તિ બાદ 8-10 વર્ષથી એક્સટેન્શન આપવામાં આવતું હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવાર લાયકાત અધિકારીઓની બઢતી રોકાઈ ગઈ છે અને વિભાગમાં નિષ્ક્રિયતા અને શુષ્ક વાતાવરણ થઈ જાય તે સ્વાભાવિક છે.
તેમણે કહ્યું હતું કે, શિક્ષણ વિભાગમાં 32000 શિક્ષકો સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટા ભાગના વર્ગ-3 અને 4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગથી ચાલી રહ્યાં છે. રાજ્યના મહેસુલ વિભાગમાં 6 હજાર થી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટીની જવાબદારી સંભાળે છે. વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યની વસ્તીમાં વધારો થયો પણ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારના વધુ એક નિર્ણયથી કર્મચારીમાં અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યાં છે, જુની પેન્શન યોજના, કાયમી ભરતી, ફિક્સ પે દુર કરો સહિતની માંગ સાથે કર્મચારી આંદોલન ચલાવી રહ્યાં છે. રાજ્ય સરકાર લાંબા સમયથી ભરતી કરતી નથી, ગુજરાતના હજારો યુવાનો નોકરીની રાહ જોઈને વયમર્યાદા વટાવી રહ્યાં છે. અનેક અધિકારીઓ સામે ગંભીર ખાતાકીય તપાસ છતાં નિવૃત્તી સુધી તપાસના નામે નાટક ચાલે છે અને નિવૃત્તી બાદ કરાર આધારિત મહત્વની નિમણુંક કરવામાં આવી રહી છે.