1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષણ સહાય યોજનાઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 2.81 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
શિક્ષણ સહાય યોજનાઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 2.81 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

શિક્ષણ સહાય યોજનાઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 2.81 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

0
Social Share

ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને સાક્ષરતા દર સતત વધી રહ્યો છે. જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ 30 જૂન, 2023 સુધીમાં કુલ 2,80,906 લાભાર્થી બાળકોને રૂપિયા 159.63 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

ગત વર્ષ 2022-23  દરમિયાન જ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક પરિવારના 50,299 બાળકોને રૂપિયા 42.45 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. શ્રમયોગી પરિવારના બાળકોને શિક્ષણ માટે રૂ. 1800 થી રૂ. 2 લાખ સુધીની સહાય આપવામાં આવી છે. બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ હેઠળ શિક્ષણ સહાય યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ શ્રમિક પરિવારના બાળકોને પ્રાથમિક શિક્ષણથી લઇ અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા બાળકોને રૂ.1800  ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને રૂ. 2400, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને રૂ.8000, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને રૂ. 10,000 સુધીની શિષ્યવૃત્તિ  આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 12 પછીના બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય કે સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રૂ. 10,000ની સહાય આપવામાં આવે છે.

સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણ માટે એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી., એમ.એસ.ડબ્લયુ. અને એમ.એલ.ડબલ્યુ જેવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે રૂ. 15 હજાર, જ્યારે એમ.સી.એ. અને એમ.બી.એ. જેવા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 25 હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સિવાય ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પણ રૂ. 25 હજાર સહાય આપવામાં આવે છે.

એટલું જ નહિ, એમ.બી.બી.એસ., એમ.ડી. અને ડેન્ટલ જેવા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ માટે લઘુત્તમ રૂ. 25000  અને મહત્તમ રૂ. 2,00,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, આર્કીટેકચર, ઈજનેરી અને ટેકનોલોજી  જેવા પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લઘુત્તમ રૂ. 25000  અને મહત્તમ રૂ. 50,000 સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમંદ બાંધકામ શ્રમિકના બાળકોના કારકિર્દી ઘડતર માટે આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’માં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના મહત્તમ બે બાળકોને જ આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જે વિદ્યાર્થીઓને અન્ય વિભાગોની શિષ્યવૃત્તિની સહાય મળતી હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code