1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષણ વિભાગના જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે ગ્રાન્ટેડ શાળા સંચાલકો, શિક્ષક સંઘે બાંયો ચડાવી,
શિક્ષણ વિભાગના જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે ગ્રાન્ટેડ શાળા સંચાલકો, શિક્ષક સંઘે બાંયો ચડાવી,

શિક્ષણ વિભાગના જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે ગ્રાન્ટેડ શાળા સંચાલકો, શિક્ષક સંઘે બાંયો ચડાવી,

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં ડે સ્કુલ અને રેસિડેન્ટ સ્કુલોને મંજુરી અપાશે, અને સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. એટલે કે તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પર પડશે. અને શાળાઓ બંધ કરવાની નોબત આવશે. એવો ભય ગ્રાન્ટેડ શાળાના સંચાલકો અનુભવી રહ્યા છે. અને આ તમામા પ્રશ્નોની ચર્ચા માટે  શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની મંગળવારે ગાંધીનગરમાં બેઠક યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજયભરમાં ખાનગી શાળાઓને આડેધડ અપાતી મંજૂરીના પગલે ગ્રાન્ટેડ અને સરકારીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં અનેક ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી ગયા છે. આવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સરકારી શાળાઓને એક બીજામાં મર્જ કરી દેવામાં આવી રહી છે. જેમાં હવે રાજય સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રથી સામાજિક ભાગીદારીથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધો.6 થી 12માં ગુણવતાયુકત શિક્ષણ આપવા જ્ઞાન સેતુ પ્રોજેકટ અંતર્ગત જ્ઞાનશકિત રેસીડેન્શિયલ સ્કુલ-જ્ઞાનસેતુ ડે-સ્કુલ્સ શરૂ કરવામાં આવશે.રાજયભરમાં આવી શાળાઓ શરૂ કરવા માટે ધડાધડ ખાનગી શાળાઓને મંજૂરી અપાતા તેની સામે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના શાળા સંચાલક મંડળો, આચાર્ય અને વહીવટી સંઘોમાં ભારે વિરોધ ઉઠયો છે. આ સંદર્ભે આગામી તા.14ને મંગળવારે સવારના 11.30 કલાકે અંજલી હોટલ જૈન મંદિર સામે ચીલોડા-હિંમતનગર નેશનલ હાઇવે ગાંધીનગર ખાતે ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ તાબડતોબ ખાસ બેઠક આયોજિત કરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નવા સત્રથી રાજકોટ શહેર-જિલ્લામાં 15 જેટલી જ્ઞાનસેતુ-જ્ઞાનશકિત રેસીડેન્સીયલ સ્કુલ ધમધમતી થશે. આ સંદર્ભે શિક્ષણવિદોએ જણાવ્યું છે કે સરકારની સતત બદલાતી રહેતી શિક્ષણ નીતિના પગલે અત્યાર સુધીમાં અનેક ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા તુટતા અનેક શાળાઓને એકબીજામાં મર્જ કરી દેવામાં આવી છે. રાજયભરમાં સરકારના આ પ્રોજેકટથી નવા શૈક્ષણિક સત્રથી 43 હજાર જેટલી સરકારી- ગ્રાન્ટેડ શાળાઓ પર તેની અસર થવાની શકયતા છે. સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા તુટતા અનેક શિક્ષકો ફાજલ પડશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજય સરકારના આ જ્ઞાનસેતુ પ્રોજેકટ સામે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો કર્મચારીઓ અને તેમના મંડળોમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. આગામી મંગળવારે ગાંધીનગર ખાતે યોજાનારી શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠકમાં આ બાબતે ચર્ચા વિચારણા કરી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code