ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે માંડ્યો મોરચો
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જો કે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પરિણામના આધારે ગ્રાન્ટ કાપના જે નિયમો હતા તે હટાવી લીધા છે. પરંતુ વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી આ ઉપરાંત શિક્ષકોને બઢતી, પગાર ધારણે અને કાયમી ભરતી સહિતના અનેર પ્રશ્નો હજુ વણઉકેલ્યા છે. આથી રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે.
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા પડતર માંગણીઓને લઈ સોમવારે રાજ્યભરમાં આઠમા તબક્કાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પડતર માંગણીઓના વિરોધમાં ગ્રાન્ટેડ શાળાના આચાર્યો અને શિક્ષકો સહિત સ્ટાફ દ્વારા થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજ્યની દરેક ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિરોધ જોવા મળ્યો હતો. સુરતની અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ગુરુવાર સુધીમાં જો સરકાર માંગણી નહિ સ્વીકારે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય શેક્ષણિક સંકલન સમિતિના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગત તા. 20મી જુલાઇથી સમગ્ર રાજ્યમાં વિવિધ તબક્કા પ્રમાણે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગ્રાન્ટેડ સ્કૂલાના શિક્ષકોના આઠમા તબક્કાના કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું.જે અન્વયે સુરત ખાતે પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો,આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા થાળી વગાડી સરકાર સુધી અવાજ પોહચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના ઘોડ દોડ રોડ ખાતે આવેલ એક્સપેરિમેન્ટલ શાળા ખાતે દેખાવ અને વિરોધ નોંધાવી સુરત જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં પણ સોમવારે સ્કૂલ પૂરી થયા બાદ શિક્ષકો દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો.રાજ્યભરમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો, આચાર્ય અને સંચાલકોની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ શિક્ષકોએ સાથે મળીને આવેદનપત્ર આપી, પત્ર લખીને, કાળા કપડાં પહેરી, કાળી પટ્ટી બાંધી, રામધૂન કરીને વિરોધ કર્યો હતો. તે ઉપરાંત પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આદેશ કરવામાં આવતા પાટણ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકોએ શાળા છૂટવાના સમયે શાળાનું બેનર અને નિયત પ્લે કાર્ડ દર્શિત કરી 15 મિનિટ સુધી થાળી વગાડી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.