અમદાવાદ : રાજ્ય અને દેશમાં પર્યાવરણ અસમતુલાને લીધે હવે ઋતુચક્રમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કારતક મહિનો પૂર્ણ થયા બાદ માગશર મહિનામાં હવે ઠંડીમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ચોમાસાની જેમ શિયાળામાં પણ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય બિમારીઓ વકરી છે. શહેરમાં ડેંન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શરદી, ઉધરસ, તાવ, માથુ દુઃખવું વગેરે દર્દીઓમાં પણ વધારો થયો છે. સિવિલ તથા ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેમજ હોસ્પિટલમાં OPDમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. નોંધનીચ છે કે શહેરમાં એકાએક મચ્છરજન્ય બીમારીના કેસ વધતા કોર્પોરેશનની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
અમદાવાદ સહિત રાજયભરમાં લોકોમાં કોરોનાની દહેશત હજુંપણ છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના અને ઑમિક્રૉનની દહેશતની વચ્ચે હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. કારણ કે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. જેને પગલે આરોગ્ય વિભાગની કામગીરીને લઇને સવાલો ઉઠી રહ્યાં છે. સરકારી જ નહીં પણ ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલોમાં તો કેસ કઢાવવાના કાઉન્ટર ઉપર લાંબી લાઇનો જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની દહેશતની વચ્ચે રોગચાળાની ગંભીર સ્થિતિ ચિંતાનું કારણ બની છે. એમાંપણ રાજયમાં ઑમિક્રૉનનો સુરતમાં એક કેસ નોંધાયો છે. જેને ફરી આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. શહેરમાં ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધી રહ્યું છે. તે પહેલા દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુંનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. ઉપરાંત ભેજવાળા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હતો. તેથી ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.(file photo)