યાસીન મલિક અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ટીપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જેની સામે ઈસ્લામિક સહયોગ સંગઠને નારાજગી નોંધાવી છે. દરમિયાન ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને કોઈપણ રીતે આતંકવાદને ન્યાયી ન ઠેરવવા વિનંતી કરી છે અને કહ્યું કે વિશ્વ આ ખતરા સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, મલિકની સામે આતંકવાદી ગતિવિધિઓના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું, “યાસિન મલિક કેસમાં ચુકાદાની ટીકા કરતી OIC-IPHRCની ટિપ્પણીઓ ભારત માટે અસ્વીકાર્ય છે. આ ટિપ્પણીઓ દ્વારા OIC-IPHRCએ યાસીન મલિકની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે, જેની પાસે દસ્તાવેજો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વિશ્વ આતંકવાદ માટે ઝીરો ટોલરેન્સ ઈચ્છે છે અને અમે OICને વિનંતી કરીએ છીએ કે તેને કોઈપણ રીતે ન્યાયી ઠેરવવામાં ન આવે.”
NIA કોર્ટે બુધવારે જમ્મુ-કાશ્મીરના આતંકવાદી યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. NIA કોર્ટે મલિકને આજીવન કારાવાસની સજા ફટકારતા 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેને બે વખત આજીવન કેદની સજા થઈ હતી. NIAએ 19 મેના રોજ દોષિત આતંકવાદી નેતા માટે મૃત્યુદંડની માંગણી કરી હતી. યાસીન મલિકે પોતાની ઉપર લાગેલા તમામ આરોપો કોર્ટમાં સ્વીકાર્યા હતા. તેમજ કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં નહીં પડકારવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાનના પીએમ શહીફ સહિતના અનેક પાકિસ્તાની આગેવાનો પોતાના દેશને સાચવવાને પદલે યાસીનના બચાવવા મેદાનમાં ઉતર્યાં હતા.