આસામમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે ભારતીય સેનાનું રેસ્ક્યૂ ઓપરેશન
નવી દિલ્હી, 30 જૂન 2026: ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સ હેઠળની સ્પીયર હેડ ડિવિઝનના જવાનોએ સોમવારે(29 જૂન) આસામના ધેમાજી જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ફસાયેલા 27 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ રાહત અને બચાવ અભિયાન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને હાથ ધરવામાં આવ્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર, આ બચાવ અભિયાન ધેમાજી જિલ્લાના અરુણ ચાપોરી ગામમાં ચલાવવામાં આવ્યું હતું, જ્યાં સતત વરસાદ અને પાણીનું સ્તર અચાનક વધી જવાથી ઘણા ગામો જળમગ્ન થઈ ગયા હતા અને લોકો ફસાઈ ગયા હતા.
આપાતકાલીન સ્થિતિની માહિતી મળતા જ સેનાના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ખરાબ હવામાન તથા મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં રાહત કાર્ય શરૂ કર્યું હતું. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ અભિયાન NDRF અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને સંકલિત રીતે ચલાવવામાં આવ્યું હતું, જેથી બચાવ કાર્ય સમયસર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. સેનાની ટીમોએ બહાર કાઢવામાં આવેલા લોકોને તાત્કાલિક રાહત સામગ્રી પણ પૂરી પાડી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અભિયાન ભારતીય સેનાની સજ્જતા અને કુદરતી આફતોના સમયે નાગરિક વહીવટીતંત્રની મદદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુશ્કેલ સંજોગો હોવા છતાં જવાનોએ ઝડપથી કામ કરીને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી. સેનાએ કહ્યું કે, “આવા રાહત અને બચાવ અભિયાન તેમની જવાબદારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે દેશની સરહદોની રક્ષા કરવાની સાથે સાથે આફતોમાં લોકોને મદદ પણ કરે છે. સેવાની કોઈ સીમા હોતી નથી, માનવતા અમારી સૌથી મોટી જવાબદારી છે.”
આ અભિયાન એવા સમયે હાથ ધરવામાં આવ્યું છે જ્યારે આસામમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 7 જિલ્લાઓમાં 45,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ધેમાજી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. સેના, NDRF, SDRF અને જિલ્લા વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી રાહત કાર્ય ચાલુ રહેશે.


