નવી દિલ્હી: 33મા આસિયાન રિજનલ ફોરમની બેઠક દરમિયાન પાકિસ્તાને પોતાની જૂની આદત મુજબ ફરી એકવાર ભારત વિરોધી ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ વૈશ્વિક મંચનો દુરુપયોગ કરીને ભારત સામે પાયાવિહોણા અને બેબુનિયાદ આરોપો મૂક્યા હતા. જોકે, ભારતે પાકિસ્તાનના આ તમામ મનઘડંત આરોપોને સદંતર ફગાવી દીધા છે અને ખૂબ જ આક્રમક તથા સ્પષ્ટ અંદાજમાં પાકિસ્તાનને અરીસો બતાવી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે પાકિસ્તાનને અત્યંત કડક સંદેશ આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચોનો હંમેશાં દુરુપયોગ કર્યો છે. દુનિયાભરમાં જૂઠાણું ફેલાવવું, પ્રચારકીય યુદ્ધ લડવું અને પોતાની આંતરિક નાકામીઓ પર પડદો પાડવો એ પાકિસ્તાનની જૂની અને કાયમી આદત બની ચૂકી છે.
ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાન પોતાના ગંભીર ઘરેલુ આર્થિક અને રાજકીય સંકટો પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવા પ્રયાસો કરે છે. પોતાની અસફળતાઓ છુપાવવા માટે જ તે સતત ભારત વિરોધી એજન્ડા ચલાવતો રહે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની પોલ ખોલતી પાંચ મુખ્ય બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે:
-
કાશ્મીર ભારતનો અભિન્ન અંગ: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશાં ભારતના અભિન્ન અને અટૂટ અંગ રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ મામલે પાકિસ્તાને કોઈ દખલ દેવાની જરૂર નથી.
-
બોલવાનો કોઈ અધિકાર નથી: ભારતના આંતરિક બાબતો કે મામલાઓ પર ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ કાનૂની કે નૈતિક અધિકાર નથી.
-
સિંધુ જળ સમજૂતી ઠપ્પ: જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પરથી ચાલતું સીમાપારનું આતંકવાદ સંપૂર્ણપણે બંધ નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડેડ જ રહેશે. ભારતનું આ વલણ અટલ અને સ્પષ્ટ છે.
-
આતંકવાદ જ મુખ્ય અડચણ: પાકિસ્તાન પ્રાયોજીત સીમાપારનું આતંકવાદ જ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો સુધારવામાં સૌથી મોટી અને મુખ્ય બાધા છે. ભારત તેના પર કોઈ બાંધછોડ કરશે નહીં.
-
ધર્મનો દુરુપયોગ: પાકિસ્તાન ધાર્મિક શબ્દાવલિ અને લાગણીઓનો સહારો લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે પાકિસ્તાનના આ ધાર્મિક દુષ્પ્રચારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભલે દુનિયાની સામે પોતાને પવિત્ર દેખાડવાના નાટક કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં આતંકવાદી નેટવર્ક્સ માટેનું સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. ભારતે પાકિસ્તાનને સીધી સલાહ આપતા કહ્યું છે કે તે બીજા પર આંગળી ચીંધવાનું બંધ કરે અને સૌથી પહેલા પોતાની ધરતી પર ખુલ્લેઆમ ફૂલીફાલી રહેલા આતંકવાદી માળખાને જડમૂળથી નેસ્તનાબૂદ કરે. પાકિસ્તાને અન્ય દેશોની ટીકા કરવાને બદલે પોતાના દેશની અંદર સુધારા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.


