જહાંગીરપુરી હિંસાઃ વહીવટી તંત્રએ આરોપીઓની ગેરકાયદે મિલકત સામે એકશન શરૂ કર્યુ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતીના દિવસે થયેલી હિંસાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા હિંસાના આરોપીઓની ગેરકાયદે સંપતિ ઉપર બુલડોઝર ફેરવાનો નિર્ણય લીધો હતો. તેમજ 1500 પોલીસ જવાનોને તૈનાત કરીને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને 20 અને 21 એપ્રિલે હિંસાના આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવાની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર MCDએ જહાંગીરપુરીમાં હિંસાના સ્થળે ગેરકાયદેસર મિલકતો અને અતિક્રમણ પર કાર્યવાહી કરી. જેમની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવી હતી, તે લોકોએ MCDની કાર્યવાહીનો પણ વિરોધ કર્યો હતો. પોલીસ દળના ભારે તૈનાત વચ્ચે MCD એ અતિક્રમણ અને ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી શરૂ કરી હતી. એમસીડીએ હિંસાના આરોપીઓની ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતિના દિવસે શોભાયાત્રા યોજાઈ હતી. દરમિયાન કટ્ટરપંથીઓએ શોભાયાત્રા ઉપર હુમલો કર્યો હતો. જેથી મામલો બિચક્યો હતો. સમગ્ર ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે બે ડઝનથી વધારે આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. આ ઉપરાંત હુમલા અગાઉની રાતના સીસીટીવી ફુજેટના વીડિયો સામે આવ્યાં હતા. જેમાં રાતના સમયે આરોપીઓ લાકડી એકત્ર કરતા જોવા મળ્યાં હતા.