1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં ઓક્સિજનની ઘટને નિવારવા મ્યુનિ.કોર્પોરેશનની મથામણ
અમદાવાદમાં ઓક્સિજનની ઘટને નિવારવા મ્યુનિ.કોર્પોરેશનની મથામણ

અમદાવાદમાં ઓક્સિજનની ઘટને નિવારવા મ્યુનિ.કોર્પોરેશનની મથામણ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિ. સંચાલિત એસવીપી, એલ.જી., શારદાબેન સહિતની 12 મોટી હોસ્પિટલો, 172 ખાનગી હોસ્પિટલ અને 200 નર્સિંગ હોમને રોજ 275 ટન ઓક્સિજનની જરૂર છે. જેની સામે હાલ ઉત્પાદકો પાસેથી 225 ટન જેટલો જ ઓક્સિજન મળી રહ્યોં છે. આ હિસાબે હવે દરરોજ 50 ટન જેટલા ઓક્સિજનની ઘટ ઊભી થઈ છે.

અમદાવાદમાં ઓક્સિજન ઉત્પાદકો પાસેથી મર્યાદિત માત્રામાં ઓક્સિજન આવતો હોવાથી હાલ આ ઘટને પૂરી કરવા બીજો કોઈ વિકલ્પ નથી. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 12 હોસ્પિટલોમાં હાલ ઓક્સિજન ઓડિટ કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ હોસ્પિટલમાં બિનજરૂરી ઓક્સિજનનો વપરાશ થતો હોય તેને અટકાવશે. દરમિયાન સોલા સિવિલમાં ઓક્સિજનના વપરાશ પર નિયંત્રણ મુકાયા છે.

હાલ અહીં 6 ટનની એક ટેન્ક અને એક એક ટનની 5 ટેન્ક છે. પરંતુ રોજનો વપરાશ 15 ટન છે. આને કારણે હોસ્પિટલે જેટલા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવે તેટલી સંખ્યામાં નવા દર્દીને દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ખાલી બેડ પર આગોતરી જાણ વગર એકપણ દર્દી દાખલ થશે નહીં. હાલ સોલા સિવિલમાં વેન્ટિલેટર, ઓક્સિજન અને બાયપેપ પર 400 દર્દી છે.

ઓક્સિજન બેડવાળા વોર્ડમાં સિલિન્ડરમાંથી અથવા ઓક્સિજનની મેઈન લાઈનમાંથી ક્યાંકથી ઓક્સિજન લિકેજ થતો હોય તેની તપાસ કરવા માટે પણ હોસ્પિટલે ટીમ તૈયાર કરી છે. આ ટીમ નિયમિત સિલિન્ડરના વાલ્વ તપાસ કરી ઓક્સિજન લિકેજ થતો અટકાવવાનું કામ કરી રહી છે. હાલ શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code