1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખોડલધામના નરેશ પટેલે કોળી સમાજ બાદ દલિત સમાજના આગેવાનો સાથે ચૂંટણીને લઈ ગોષ્ઠિ કરી
ખોડલધામના નરેશ પટેલે કોળી સમાજ બાદ દલિત સમાજના આગેવાનો સાથે ચૂંટણીને લઈ ગોષ્ઠિ કરી

ખોડલધામના નરેશ પટેલે કોળી સમાજ બાદ દલિત સમાજના આગેવાનો સાથે ચૂંટણીને લઈ ગોષ્ઠિ કરી

0
Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજના સબળ ગણાતા નેતાઓને પાર્ટીમાં સમાવવાની હોડ જામી છે. પાટિદાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે  સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત છે.  દરમિયાન નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહીત અન્ય સમજો સાથે બેઠકો શરૂ છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલે સૌરાષ્ટ્રના કોળી સમાજ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ દલિત સમાજ સાથે પણ બેઠક કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કોળી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજ્યા બાદ  સૌરાષ્ટ્રના દલિત સમાજ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં  સૌરાષ્ટ્રભરના દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ 3જી એપ્રિલે  ખોડલધામમાં નરેશ પટેલ અને કોળી સમાજના આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે કોળી સમાજ અને પટેલ સમાજ એક થઈને સાથે રહીને કાર્ય કરે તેવો નિર્ણય કર્યો છે. આ સાથે જ રાજકારણમાં પ્રવેશ બાબતે દરેક સમાજ આહ્વાન કરે ત્યારે રાજકારણમાં પ્રવેશનો સાચો દિવસ હશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કોળી સમાજ, પાટીદાર સમાજ અને દરેક સમાજ સાથે રહી ગુજરાતનો વિકાસ થાય તેવો નિર્ણય કર્યો છે. નરેશ પટેલ અને માંધાતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પાસના દિનેશ બાંભણીયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રોના કહેવા મુજબ લેઉઆ પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી બતાવી હોવાનું કહેવાય છે. જો કે નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા માટે મોટી શરત મૂકી છે. નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ શરત મૂકી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કામ કરશે તો જ પોતે કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે,  નરેશ પટેલની શરત અંગે આ સપ્તાહના અંત સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code