1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નર્મદાની નાની પરિક્રમાનો આજથી પ્રારંભ, મહિનો ચાલનારી પરિક્રમા માટે વહિવટી તંત્ર બન્યુ સજ્જ
નર્મદાની નાની પરિક્રમાનો આજથી પ્રારંભ, મહિનો ચાલનારી પરિક્રમા માટે વહિવટી તંત્ર બન્યુ સજ્જ

નર્મદાની નાની પરિક્રમાનો આજથી પ્રારંભ, મહિનો ચાલનારી પરિક્રમા માટે વહિવટી તંત્ર બન્યુ સજ્જ

0
Social Share

ભરૂચઃ  ચૈત્ર મહિનાનો તા. 9મી એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે એટલે કે પ્રથમ દિવસથી નર્મદાની નાની પરિક્રમાનો પ્રારંભ થાય છે. આજે 8મી એપ્રિલથી શ્રદ્ધાળુઓ રામપુરા ગામના નર્મદા નદીના પટમાં ઉમટી પડશે. અને યાત્રાનો શુભારંભ કરશે. માં નર્મદાના નાની પરિક્રમા રૂટ પર આજે 8મી એપ્રિલથી 8મી મે, 2024 સુધી એક મહિનો યાત્રા ચાલશે. પરિક્રમાવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પ્રારંભ કરે અને પૂર્ણ કરે તેવી અપીલ કરાઈ છે. પરિક્રમાના પ્રારંભ સ્થળે વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

આ માટે નર્મદા પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંયુક્ત વહીવટી તંત્ર ટીમ દ્વારા રામપુરા-શહેરાવ-રેંગણઘાટ પર કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી અને પરિક્રમાવાસીઓને છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ અને પગપાળા પરિક્રમાવાસીઓને ચાલવાના રૂટનું નિરિક્ષણ કર્યું હતુ. માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા આજે તા.8મી એપ્રિલ, સોમવારથી શરૂ થઈ 8મી મે, 2024 સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે.

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાંક સૂચનો કર્યા હતા.

સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. ત્યારે જ્યાંથી માં નર્મદા ઉત્તરવાહિની થાય છે, એટલે કે નાંદોદ તાલુકાના રામપુરા કીડીમકોડી ઘાટની ચૈત્ર માસની એકમથી ચૈત્ર માસની અમાસ સુધી એટલે કે 30 દિવસ આ પરિક્રમા કરવામાં આવે છે. જેને નર્મદા નદીની નાની પરિક્રમા કહેવામાં આવે છે. આ પરિક્રમાની શરૂઆત 8 એપ્રિલથી થશે. મોટી સંખ્યામાં લોકો મા રેવાની પરિક્રમા માટે નીકળી પડે છે. એક મહિનાના સમયગાળામાં પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ નદી તટે જોવા મળે છે. જેમના માટે સ્થાનિક લોકો દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામા આવે છે. ભક્તો દ્વારા ચૈત્ર મહિનામાં થતી નાની પરિક્રમા કરવામાં આવી રહી છે.

આ પરિક્રમાના રૂટની વાત કરીયે તો, રામપુરા ગામથી આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. રામપુરા, માંગરોળ, ગુવાર, તિલકવાડા અને રેંગણ-વાસણ ગામ થઈને ફરી રામપુરા પહોંચીયે ત્યારે આ 19 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ ગણાઈ છે. જ્યારે મોટી પરિક્રમા એટલે કે અમરકંટકથી માં નર્મદાની પરિક્રમા શરૂ થતી હોઈ છે. જો આ કરવી હોઈ તો 36 હજાર 600 કિલોમીટરની પરિક્રમા છે. જેને પુરી કરતા લગભગ 3 વર્ષ અને 6 મહિના જેટલો સમય લાગે છે.  જે ભક્તો મોટી પરિક્રમા ના કરી શકતા હોય તે ચૈત્ર મહિનામાં આ 19 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. 19 કિલોમીટરની પરિક્રમા કરતા લગભગ 5 થી 7 કલાકનો સમય લાગે છે. પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો લાભ ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પણ લઈ રહ્યા છે. આ પરિક્રમા માટે રોજના 20 થી 25 હજાર લોકો આ પરિક્રમાનો લાભ લેશે પરિક્રમા કરનાર ભક્તોને પરિક્રમાના રૂટમાં આવતા આશ્રમો, મંદિરો અને ગામના લોકો દ્વારા રેહવાની, નાસ્તાની અને જમવાની પણ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code