કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં લીધો આ નિર્ણય
- કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
- 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડ સંબંધિત ઇટાલિયન કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો
- બીજી તરફ, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કંપની તપાસ ચાલુ રહેશે
નવી દિલ્હી: સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રૂ. 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડના સંબંધમાં પ્રતિબંધિત ઇટાલિયન કંપની લિયોનાર્ડો સાથેના વ્યવહારો પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.
એક તરફ પ્રતિબંધ હટાવી લેવાયો છે જો કે બીજી તરફ, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કંપની વિરુદ્વ તપાસ ચાલુ રહેશે. અગાઉ હસ્તાક્ષર કરાયેલા કોઇપણ કરારના આધારે કંપનીને ભારત સરકાર તરફથી કોઇ નાણાકીય દાવો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
VVIPs માટે ભારતમાં 12 AW-101 હેલિકોપ્ટર સપ્લાય કરવાના રૂ. 3,600 કરોડના સોદામાં યુરોપિયન એજન્સીઓની ભૂમિકા બદલ ભારતે યુપીએ સરકાર દરમિયાન 2013-14માં કંપની સાથેનો સોદો અટકાવી દીધો હતો. કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ઇટાલીની કંપનીની વિનંતીના આધારે અને કાયદા મંત્રાલય તેમજ અન્ય એજન્સીઓ સાથે ચર્ચા કરીને સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. તે સમયે ભ્રષ્ટાચારનો મામલો માત્ર અગસ્ટા વેસ્ટલેન્ડને લગતો હવા છતાં, સમગ્ર જૂથ ફિનમેકેનિકા સાથેના કોઇપણ સોદાને રોકી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગના સંબંધમાં રૂ. 3,600 કરોડના VVIP ચોપર ડીલ કેસમાં આરોપી રાજીવ સક્સેનનાની ધરપકડ કરી હતી. હેલિકોપ્ટર ડીલ કેસમાં કથિત મધ્યસ્થ સક્સેના દુબઇમાં રહેતો હતો અને તેને 31 જાન્યુઆરી, 2019ના રોજ ભારત દ્વારા સંયુક્ત આરબ અમીરાતથી દેશમાં લાવવામાં આવ્યો હતો અને આ કેસમાં એજન્સી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.