કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશ: ગંભીર રીતે ઘાયલ CDS રાવત, રક્ષામંત્રી રાજનાથ સિંહ CDSના નિવાસસ્થાને પહોંચ્યા
- કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઘાયલ CDS બિપિન રાવતની તબિયત નાજુક
- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કેબિનેટ બેઠક અધવચ્ચેથી છોડીને તેમના ઘરે પહોંચ્યા
- તેમના પરિવારજનો સાથે કરી મુલાકાત
નવી દિલ્હી: કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓની સ્થિતિ નાજુક છે અને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમાચાર બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કેબિનેટની બેઠક અધવચ્ચેથી છોડીને CDS બિપિન રાવતના ઘરે પહોંચ્યા હતા અને તેના પરિવારજનોને મળ્યા હતા.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ CDS બિપિન રાવતના ઘરે પહોંચીને તેના પરિવારજનોને મળ્યા હતા. અત્યારે સીડીએસ બિપિન રાવતના નિવાસસ્થાનની સુરક્ષા વધારાઇ છે.
સંરક્ષણ મંત્રી કૂન્નુર હેલિકોપ્ટર જે જગ્યાએ ક્રેશ થયું ત્યાં પણ જવાના છે. સીડીએસ બિપિન રાવતને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરને નડેલા અકસ્માત બાદ કેન્દ્રીય કેબિનેટની ઇમરજન્સી બેઠક મળી હતી અને તેમાં આ ઘટનાને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટની ઇમરજન્સી બેઠકમાં પીએમ મોદી ઉપરાંત, મુખ્ય રક્ષા સલાહકાર, અજિત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને ઘટના સંબંધિત દરેક જાણકારીથી માહિતગાર કર્યા હતા.