નીટ-યુજી પેપરલીક મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, એનટીએને હટાવીની માંગણી
નવી દિલ્હી, 13 મે 2026: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી 2026 ના પેપરલીક વિવાદે હવે વેગ પકડ્યો છે. આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) માં પહોંચ્યો છે. ‘ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન’ (FAIMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને પરીક્ષાના પારદર્શક સંચાલન માટે મોટી માંગણીઓ કરવામાં આવી છે.
અરજીકર્તાની મુખ્ય માંગ છે કે, એક નવી, અત્યાધુનિક અને સંપૂર્ણપણે સ્વતંત્ર સંસ્થા ‘નેશનલ એક્ઝામિનેશન ઇન્ટિગ્રિટી કમિશન’ (એનઈઆઈસી)ની રચના કરવામાં આવે. જ્યાં સુધી આ સંસ્થા ન બને ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક હાઈ-લેવલ કમિટી બનાવવામાં આવે, જેમાં સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને ફોરેન્સિક સાયન્ટિસ્ટનો પણ સમાવેશ હોય. આ કમિટીની દેખરેખ હેઠળ જ નવી પરીક્ષા યોજવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં ફેલાયેલા આ પેપરલીક કૌભાંડની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, સીબીઆઈ પાસેથી આગામી ચાર સપ્તાહમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ મંગાવવામાં આવે, જેથી સત્ય બહાર આવી શકે. ભવિષ્યમાં પેપરલીકની ઘટનાઓ રોકવા માટે અરજીમાં સૂચન કરવામાં આવ્યું છે કે, પ્રશ્નપત્રોને ફરજિયાતપણે ડિજિટલ લોક કરવામાં આવે. ઓફલાઇન (પેન-પેપર) ને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવે, જેથી પેપરના પરિવહન દરમિયાન થતા જોખમોને ટાળી શકાય.
3 મે 2026 ના રોજ લેવાયેલી નીટ-યુજી પરીક્ષા, જેમાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા, તેને એનટીએ દ્વારા સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે બાયોલોજીના 90 અને કેમિસ્ટ્રીના 35 પ્રશ્નો પ્રિન્ટિંગ પહેલા જ લીક થઈ ગયા હતા. એનટીએએ ટ્વીટ કરીને પુષ્ટિ કરી છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે અને નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે. દરમિયાન અરજદાર સંસ્થાએ જણાવ્યું હતું કે, એનટીએએ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. હવે સમય આવી ગયો છે કે એક હાઈ-ટેક અને સુરક્ષિત સિસ્ટમ ઉભી કરવામાં આવે.


