ખાનગી શાળાઓની મનમાની પર NHRCની કાર્યવાહી: ખાનગી પ્રકાશકોના પુસ્તકો થોપવા બદલ તમામ રાજ્યોને નોટિસ
નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: દેશભરની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ખાનગી પબ્લિકેશનના મોંઘા પુસ્તકો ખરીદવા માટે કરવામાં આવતા દબાણ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે (એનએચઆરસી) ગંભીર નોંધ લીધી છે. વાલીઓની વ્યાપક ફરિયાદો અને ‘નમો ફાઉન્ડેશન’ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ, પંચે આ મુદ્દે તમામ રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ મામલે સુનાવણી કરતા પ્રિયંક કાનૂનગોની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે, શાળાઓ દ્વારા ખાનગી પુસ્તકોનું દબાણ એ ‘રાષ્ટ્રીય સ્કૂલ બેગ નીતિ’ અને ‘શિક્ષણના અધિકાર’ (આરટીઈ) ની કલમ 29નું ઉલ્લંઘન છે. પંચે દરેક રાજ્ય સરકારને આ દિશામાં જરૂરી કાર્યવાહી કરી વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
એનએચઆરસીએ પોતાની નોટિસમાં એક અત્યંત મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે કે, જ્યારે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને એસસીઈઆરટી/એનસીઈઆરટીના પુસ્તકો આપવામાં આવે છે, તો ખાનગી શાળાઓમાં આ જ વ્યવસ્થા લાગુ કરવામાં શું અવરોધ છે? આયોગના મતે, શાળાના સંચાલન (ખાનગી કે સરકારી) ના આધારે પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમમાં તફાવત રાખવો એ ‘અકાદમિક ભેદભાવ’ ની શ્રેણીમાં આવે છે. પંચે માત્ર રાજ્યોને જ નહીં, પરંતુ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને પણ નોટિસ પાઠવી છે. જેમાં સવાલ કરવામાં આવ્યો છે કે, ધોરણ 8 સુધી પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલો અભ્યાસક્રમ, નિયુક્ત શૈક્ષણિક સત્તામંડળ કરતા અલગ કેમ છે? આ તફાવતને કારણે જ ખાનગી શાળાઓને મનમાની કરવાની તક મળે છે.
એનએચઆરસી એ રાજ્યો પાસેથી એસસીઈઆરટી દ્વારા પ્રકાશિત પુસ્તકોની ચોક્કસ સંખ્યા અને સરકારી તથા ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીોની સંખ્યાનો ગુણોત્તરની આંકડાકીય માહિતી માંગી છે. ખાનગી શાળાઓ અને પુસ્તક માફિયાઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે વાલીઓએ દર વર્ષે હજારો રૂપિયાનો વધારાનો બોજ સહન કરવો પડે છે. એનએચઆરસીના આ કડક વલણથી હવે આશા જન્મી છે કે આગામી શૈક્ષણિક સત્રથી ખાનગી શાળાઓમાં પણ એસસીઈઆરટી/એનસીઈઆરટીના સસ્તા અને ગુણવત્તાયુક્ત પુસ્તકો ફરજિયાત બનશે.
આ પણ વાંચોઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી, જાણો શું કહ્યું?


