વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની જીતઃ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી
નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ અનેક જનસભા અને રેલીઓને સંબોધિત કરી હતી. તેમજ તેમના નામે જ પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ભાજપા દ્વારા લડવામાં આવી હતી. હવે કોંગ્રેસના નેતાઓ પણ સ્વિકારી રહ્યાં છે ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત પીએમ મોદી નામે થઈ છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અને સંસદના વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીએ 3 રાજ્યમાં ભાજપની જીત ભાજપની પરંતુ નરેન્દ્ર મોદીની માની રહ્યાં છે.
હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોમાં હારને લઈને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, પીએમ મોદી સિવાય બીજેપીમાં કોઈ નથી. તેમણે કહ્યું કે ભાજપ માને છે કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત ભાજપ, આરએસએસ કે વિશ્વ હિંદુ પરિષદની નહીં પરંતુ પીએમ મોદીની જીત છે.
સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવા આવેલા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીને પત્રકારોએ વિધાનસભા ચૂંટણીના પરિણામો વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘છત્તીસગઢમાં પીએમ મોદી વિરુદ્ધ બઘેલ, રાજસ્થાનમાં પીએમ મોદી વિરુદ્ધ ગેહલોત હતા. અમે જોયું કે પીએમ મોદી ચૂંટણી જીતવા માટે દિલ્હી છોડીને ગામડાઓમાં ફરતા હતા. પીએમ મોદી સિવાય બીજેપીમાં કોઈ નથી. ભાજપનું માનવું છે કે આ પીએમ મોદીની જીત છે, ભાજપ, આરએસએસ કે વિશ્વ હિન્દુ પરિષદની નહીં.
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કેશ ફોર ક્વેરી કેસમાં એથિક્સ કમિટિનો રિપોર્ટ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ અંગે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે કોઈપણ હકાલપટ્ટીનો વિરોધ કરીશું, આવું ન થવું જોઈએ. અમે એક પત્ર લખ્યો છે જેમાં અમે કહ્યું છે કે સંસદીય મુદ્દાઓને સંસદની અંદર ઉકેલવા જોઈએ.