મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે 15 ખાનગી લેબમાં ટેસ્ટ ન થતા નોટિસ ફટકારાઈ
- ઔરંગાબાદ શહેરમાં મનપાએ કાર્યવાહી શરૂ કરી
- લાઈસન્સ રદ કરવાની નોટિસમાં આપી ચીમકી
- 39 ખાનગી લેબને ટેસ્ટીંગ માટે અપાઈ હતી મંજૂરી
મુંબઈઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. દરમિયાન 15 જેટલી ખાનગી લેબ કોરોના ટેસ્ટ ન કરતી હોવાનું સામે આવતા સરકારે નોટિસ ફરકારી હતી. એટલું જ નહીં લાઈસન્સ રદ કરવાની ચેતવણી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઔરંગાબાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને 15 ખાનગી લેબને નોટિસ મોકલી હતી. શહેરમાં 39 ખાનગી લેબને એન્ટિજેન અને RTPCR ટેસ્ટ કરાવવાની પરવાનગી મળી છે. પરંતુ આમાંથી 15 ખાનગી લેબએ અત્યાર સુધી એક પણ કોરોના ટેસ્ટ કર્યો નથી. આ તમામ 15 લેબને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે કોરોના ટેસ્ટ કરવાની લેબની પરવાનગી કેમ રદ ન કરવી જોઈએ? આ તમામ લેબને ટૂંક સમયમાં નોટિસનો જવાબ મોકલવા માટે કહેવામાં આવ્યું છે.
જાહેર આરોગ્ય વિભાગે NABL અને ICMR માન્યતા પ્રાપ્ત લેબમાં એન્ટિજેન અને RTPCR પરીક્ષણો કરવા માટે મંજૂરી આપી છે. વિભાગની ગાઈડલાઈન મુજબ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ખાનગી લેબને મંજુરી આપવામાં આવે છે. કોરોના ટેસ્ટ કરવા માટેના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ પરવાનગી મળ્યા બાદ 15 ખાનગી લેબોએ અત્યાર સુધી એક પણ કોરોના ટેસ્ટ કર્યો નથી.