કોરોનાના કેસ ઘટતા, મુસાફરો વધતા હવે ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ તા.24મીથી દરરોજ દોડાવશે
રાજકોટ : કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કર્યા છે. અને જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની રહી છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા પણ અગાઉ બંધ કરાયેલી કે અંશત: ચાલુ રખાયેલી રેલ સેવા પૂર્વવત કરવા કમ્મર કસી છે. જેના ભાગરૂપે આગામી તા.ર4મીથી ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસને બદલે દરરોજ દોડાવવામાં આવશે. તેમજ રાજકોટ-દિલ્હી સરાઈરોહિલ્લા એક્સપ્રેસ તથા હાપા-બિલાસપુર સ્પેશિયલ ટ્રેન 26મીથી આગલી સૂચના ન મળે ત્યાં સુધી દોડાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ઓખા-મુંબઈ સેન્ટ્રલ-ઓખા ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડે છે. જેની ફ્રીક્વન્સી વધારીને સપ્તાહમાં દરરોજ ટ્રિપ કરવામાં આવી છે. તદ્અનુસાર તા. ર4મીથી ઓખાથી મુંબઈ સેન્ટ્રલ તથા રરમીથી મુંબઈ સેન્ટ્રલથી ઓખા માટે સપ્તાહમાં રોજેરોજ નિર્ધારીત સમયે આ ટ્રેન અવાગમન કરશે. જોકે સપ્તાહમાં ચાર દિવસ દોડતી આ ટ્રેનમાં 40થી 50 ટકા જેટલા પ્રવાસીઓ મુસાફરી કરે છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કહેરને કારણે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરો પાસેથી આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હોવાના રિપોર્ટ સહિતના નિયમોને કારણે હેરાનગતિ ટાળવા ઓછી સંખ્યાના મુસાફરો પ્રવાસ કરે છે. જોકે સ્થિતિ થાળે પડતી હોવાને કારણે આગોતરા આયોજનના ભાગ રૂપે વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા રાજકોટ-દિલ્હી સરાઈરોહિલ્લા એક્સપ્રેસ તથા હાપા-બિલાસપુર સ્પેશિયલ ટ્રેન 26મીથી આગલી સૂચના ન મળે ત્યાં સુધી દોડાવવામાં આવશે.