ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને તેમનું અપમાન કરાયું, કોંગ્રેસના સાંસદો સામે રિજિજૂએ કર્યાં ગંભીર આક્ષેપ
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રવાસની નોટિસ આપી છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ગયા અને તેમની સામે અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના લગભગ 20થી 25 જેટલા સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ગયા હતા અને તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. તે સમયે કોંગ્રેસના સિનિયર નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને વેણુગોપાલ સહિતના નેતાઓ સાથે હતા. તેઓ વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદોને ઉશ્કેરી રહ્યાં હતા.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઉમરના નિવેદન પર હોબાળો
કેન્દ્રીય મંત્રીએ સંસદમાં બોલવા મામલે ચાલતા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્પીકરે એક નિર્દેશ કર્યો પરંતુ તેનુ પાલન કરવામાં આવ્યું ન હતું. તેમના મતે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે બોલવા માટે કોઈની મંજુરીની જરૂર નથી તેમજ તેઓ પોતાની ઈચ્છાથી બોલી શકે છે. આ અંગે રિજિજૂએ જણાવ્યું કે, સંસદમાં નિયમ બહુ સ્પષ્ટ છે, અધ્યક્ષની મંજુરી વિના કોઈ પણ સભ્ય બોલી શકતો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની મંજુરી પછી જ બોલે છે. દરેક સભ્યોએ નિયમનું પાલન કરવુ જરૂરી છે. સ્પીકરનો સ્વભાવ ખુબ શાંત છે, પરંતુ આ ઘટના ઉપર સખ્ત કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયાને ફટકો, અભિષેક શર્માની તબિયત લથડી


