અમદાવાદના એરપોર્ટ પર ફ્લાઈટમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા મુસાફરોને બે કલાક બેસી રહેવું પડ્યું
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રવિવારે રાતના સમયે મુંબઈ જતી ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ફ્લાઈટને રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી. તેમજ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા 156 પ્રવાસીઓને બે કલાક બેસી રહેવું પડ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી, જેના કારણે 156 મુસાફરોને એરક્રાફ્ટ રિપેર ન થાય ત્યાં સુધી બે કલાક વિમાનમાં જ બેસાડી રખાયા હતા. એર ઇન્ડિયાની (AI 638) ફલાઈટ રવિવારે રાત્રે 8.40 કલાકે ટેકઓફ માટે રન-વે પર ગઇ હતી. કેપ્ટન ફલાઈટને ટેકઓફ રન કરે તે પહેલા જ જમણી બાજુના એન્જિનમાં ખામી સર્જાઇ હતી. ફલાઇટ રિટર્ન કરવાની ઓનબોર્ડ જાહેરાત કરાઈ હતી. આ ફલાઈટમાં સવાર કેટલાક કનેક્ટિંગ પેસેન્જર હતા. ચેકિંગમાં ખબર પડી કે વિમાન ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં છે. જેથી પેસેન્જરોને વિમાનમાં જ બેસાડી રખાયા હતા. એરક્રાફ્ટ રિપેર કરાયા પછી રાત્રે 10.20એ મુંબઈ રવાના થઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદથી દિલ્હી જઇ રહેલી સ્પાઇસજેટની ફલાઇટ (SG 194) સોમવારે સવારે 6.38 કલાકે ટેકઓફ થઇ હતી. ફલાઇટ દિલ્હી એર સ્પેસમાં આવ્યા બાદ ધુમ્મસને પગલે કેપ્ટનને એટીસીએ લેન્ડિંગ માટે ક્લિયરન્સ આપ્યું ન હતું. દરમિયાન એટીસીએ હોલ્ટનો મેસેજ આપી વિમાને 10 મિનિટ સુધી આકાશમાં ચક્કર માર્યા હતા. દરમિયાન ફલાઈટમાં ફયુઅલ એલર્ટ આવ્યા બાદ કેપ્ટને જયપુર ખાતે ડાઈવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફલાઈટ જયપુર એરપોર્ટ પર 9.44 કલાકે લેન્ડ થઇ હતી. આમ દિલ્હીમાં વાતાવરણ ક્લિયર ન થાય ત્યાં સુધી મુસાફરોને બે ફલાઈટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. દરમિયાન આ ફલાઇટ જયપુરથી સવારે 11.38 કલાકે દિલ્હી માટે ઉડાન ભરી હતી. (file photo)