આગામી 1 એપ્રિલથી દેશમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અનિવાર્ય
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, 2026 – Petrol mixed with 20% ethanol દેશમાં વાહન ચાલકો માટે 1 એપ્રિલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે 20% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) વેચવામાં આવશે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સૂચના દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી આયાતી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટશે એટલું જ નહીં પરંતુ ખેડૂતોની આવક વધારવા અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મદદ કરશે.
શું છે નવો આદેશ?
સરકારે તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને નિર્દેશ આપ્યો છે કે તેઓ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નાં ધોરણો મુજબ, લઘુતમ 95 રિસર્ચ ઓક્ટેન નંબર (RON) ધરાવતું 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ દેશભરમાં ઉપલબ્ધ કરાવે. RON એ ઇંધણની ગુણવત્તા અને સ્થિરતાનો માપદંડ છે. તે દર્શાવે છે કે ઇંધણ એન્જિનમાં ‘નોકિંગ’ વગર કેટલું કમ્પ્રેશન સહન કરી શકે છે. નોકિંગની સ્થિતિમાં એન્જિનને નુકસાન થઈ શકે છે. ઇથેનોલનો ઓક્ટેન નંબર અંદાજે 108 હોય છે, જેનાથી પેટ્રોલની નોક-પ્રતિકાર ક્ષમતા વધુ સારી બને છે.
આ પણ વાંચોઃ ડેડીયાપાડામાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભ દરમિયાન કોંગ્રેસ-આપના 1000 કાર્યકરો ભાજપમાં જોડાયા
ઇથેનોલ કેમ મહત્ત્વનું છે?
ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય અનાજમાંથી બનાવવામાં આવે છે. તે પેટ્રોલની તુલનામાં વધુ સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે. તેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને કૃષિ ઉત્પાદનોની માંગ વધે છે.
સરકારના જણાવ્યા અનુસાર:
2014-15 થી અત્યાર સુધીમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને કારણે દેશે 1.40 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે.
ભારત દ્વારા જૂન 2022 માં 10% ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય સમય કરતાં વહેલું હાંસલ કરી લેવામાં આવ્યું હતું.
ત્યારબાદ 20% બ્લેન્ડિંગનું લક્ષ્ય 2025-26 સુધીમાં નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે વ્યાપક સ્તરે લાગુ કરવામાં આવી રહ્યું છે.
વાહન ચાલકો પર શું અસર થશે?
મોટાભાગના નવાં વાહનો E20 મુજબ (2023 પછી ઉત્પાદિત) ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેથી તેમને કોઈ મોટી તકનીકી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જોકે, જૂનાં વાહનોમાં માઇલેજમાં 3-7% સુધીનો ઘટાડો થઈ શકે છે. કેટલાક કિસ્સામાં રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સ પર અસર થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં, સરકાર અને ઓટો ઉદ્યોગનું માનવું છે કે આ ફેરફાર ધીમે-ધીમે અને સંતુલિત રીતે લાગુ થશે, જેથી સામાન્ય ગ્રાહકો પર મોટો બોજ નહીં પડે.


