અમદાવાદઃ શહેરમાં આવતીકાલ તા.15મીને ગુરૂવારે વિજયાદશમી યાને દશેરાનું પર્વ ભારે આનંદોલ્લાસથી જવાશે. દશેરાએ ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શહેરમાં હાલ ફાફડા 440થી 800 રૂપિયે કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે.
અમદાવાદ શહેરમાં કાલે ગુરૂવારે વિજયાદશમીનું પર્વ ભારે ઉલ્લાસથી મનાવાશે, વિજયાદશમી એટલેકે દશેરાનો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. ભગવાન શ્રીરામનો રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ, આ તહેવાર આપણા મનમાં વિજયનો ભાવ જગાવે છે અને આપણી જ્ઞાન અને વિવેક રૂપી શક્તિઓનુ જાગરણ કરી આપણા અજ્ઞાન રૂપી અંધકાર અને સ્વભાવિક વિકારો – કામ, ક્રોધ, મદ, લોભ,મોહ, અને માત્સર્ય પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. વિજયદશમીએ ફાફડૃજલેબી ખાવાની પરંપરા છે. એક અંદાજ મુજબ દશેરાએ અમદાવાદમાં સરેરાશ 8 લાખ કિલો જેટલા ફાફડા-જલેબી ખવાય છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકા ભાવ વધારો નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે. તાજેતરમાં સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.