નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીમાં મતદાન માટે હવે માત્ર ચાર જ દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન આમ આદમીના પૂર્વ નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, અરવિંદ કેજરિવાલ ખાલિસ્તાન સમર્થક છે અને તેઓ સત્તા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હંમેશાથી ખાલિસ્તાનના સમર્થક રહ્યાં છે. હું જ્યારે તેમની સાથે હતો ત્યારે તેઓ પોતાની યોજનાઓ જણાવતા હતા. એક દિવસ તેમણે કહ્યું હતું કે, હું પંજાબનો મુખ્યમંત્રી બનીશ અથવા આઝાદ રાષ્ટ્રનો પ્રથમ પીએમ બનીશ. આપના પૂર્વ નેતાએ વધુમાં કહ્યું કે, કેજરિવાલને અલગાવવાદીઓની મદદ લેવામાં પણ કોઈ શરમ નથી. જ્યાં સુધી પંજાબની વાત છે તો આ કોઈ રાજ્ય નથી, પંજાબ એક ભાવના છે પુરી દુનિયામાં પંજાબિયતની ભાવના છે. એવામાં એવી વ્યક્તિ કે જેને મે એવું પણ કહ્યું કે, અલગાવવાદીઓનો સાથ ના લો, તો તેમણે કહ્યું કે નહીં-નહીં થઈ જશે.
પંજાબ વિધાનસભાની 117 બેઠકો ઉપર તા. 20મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે પરિણામ તા. 10મી માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીને લઈને કેજરિવાલે મતદારોને અનેક વચન આપ્યાં છે. ખેડૂતોને ફ્રી વિજળી, પાણી અને મહિલાઓને દર મહિને રૂ. 1000 હજાર આપવાની જાહેરાત કરી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી અને શિરોમણી અકાળી દળ સાથે ગઠબંધન કર્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે.