1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો યાને વિદ્યાસહાયકોને બદલે  જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. આ ભરતીને કારણે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોળાઈ ગયું છે. ઘણાબધા ઉમેદવારો ભરતી માટેની નિયત ઉંમર પણ વટાવી જવાની તૈયારીમાં છે. ત્યારે જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂંકો રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગ ઊઠી છે. ગાંધીનગરમાં અલગ અલગ જિલ્લામાંથી ટેટ પાસ ઉમેદવારો આવ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી. આ સમયે કેટલીક મહિલા ઉમેદવારો રડી પડી હતી.

રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થઇ રહી છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી ન કરીને કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે માધ્યમિક શાળાઓમાં પણ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.  જેમાં તાસ પ્રમાણે પ્રવાસી શિક્ષકને મહેનતાણું આપવામાં આવશે. ત્યારે સરકારના નિર્ણય સામે બીએડ્ સાથે ટેટ પાસ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાલમાં રાજ્યમાં 32 હજાર જેટલા બીએડ્ પાસ વિદ્યાર્થીઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. છતાં સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવતી નથી.

ગાંધીનગરમાં સત્યાગૃહ માટે આવેલા ટેટ પાસ ઉમેદવારોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરી છે અને તેના પ્રમાણપત્રની મર્યાદા 5 વર્ષ રાખવામાં આવી છે. પ્રથમ વખત વર્ષ 2011માં પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે બીજી વખત વર્ષ 2014માં પરીક્ષા લેવામાં આવી છે. પ્રથમ વર્ષમાં ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડશે. સરકાર દ્વારા બેરોજગાર યુવાનો પાસેથી ફીના નામે રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે. પ્રવાસીની જગ્યાએ કાયમી ભરતી કરવી જોઈએ.

આ ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે. જેમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ નીતિને કારણે વિદ્યા સહાયકો કે શિક્ષણ સહાયકોની ભરતી ન કરાતા વર્ષોથી નોકરીની રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ (ટીચર એલિઝિબિટી ટેસ્ટ) પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. જ્ઞાન સહાયક યોજનાના કારણે ટેટ – ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોનું ભાવિ અંધકારમય બની જવાની દહેશતથી સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે.

ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ – ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન યોજ્યાં હતાં. જેનાં પગલે અગાઉથી ગોઠવાયેલી પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને પણ અટકાયત કરી લેવામાં આવી હતી, જેમાં ઘણાને સામાન્ય ઈજાઓ થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code