SOU-એકતાનગર ખાતેના વોટર એરોડ્રામની પૂર્ણેશ મોદીએ મુલાકાત લીધી
અમદાવાદઃ ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન-યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર (કેવડીયા) ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લઇ એરોડ્રામના ચીફ સિક્યુરિટી ઓફિસર રાજેશ ચૌબે સાથે સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું અને સ્થળ પર વોટર એરોડ્રામના વિકાસ ઉપરાંત જેટીના નિર્માણ-વિકાસ સંદર્ભે જરૂરી વિચાર – વિમર્શ કર્યો હતો.
મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર (કેવડીયા) ખાતે આગામી દિવસોમાં અનેક પ્રવાસીઓનો અહીંયા વધારો થવાનો છે. સાથે સાથે આ એરોડ્રામના વિકાસ અને જેટી બનાવવાના વિષય સંદર્ભે સ્થળ નિરીક્ષણ કરીને અહીં એક સારું પ્લેટફોર્મ તૈયાર થાય તેવો આશય આજની આ મુલાકાતનો રહેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો પ્રવાસીઓ આવે છે.