1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કે બાંધછોડ કરાશે નહીઃ મુખ્યમંત્રી
ગુજરાતમાં વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કે બાંધછોડ કરાશે નહીઃ મુખ્યમંત્રી

ગુજરાતમાં વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કે બાંધછોડ કરાશે નહીઃ મુખ્યમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ  રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તેમજ વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે  2084  કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરતાં મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.

આ ગૌરવશાળી સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ.735 કરોડ, સુરતને રૂ. 569 કરોડ, વડોદરાને રૂ. 172  કરોડ, રાજકોટને રૂ.135  કરોડ તથા જામનગરને રૂ. 109  કરોડ તેમજ ગાંધીનગરને રૂ. 37 કરોડ, ભાવનગરને રૂ. 94 કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. 31 કરોડ મળી 8 મહાનગરોને કુલ રૂ. 1882 કરોડ વિવિધ વિકાસ કામો માટેના ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરાયા હતા. આ ઉપરાંત રાજ્યની  ‘અ’ વર્ગની નગરપાલિકાઓને 44 કરોડ, ‘બ’ વર્ગને 36 કરોડ તથા ‘ક’ વર્ગને પણ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 17 કરોડ મળી સમગ્રતયા 2084  કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શહેરો, ગ્રામીણ વિસ્તારો, નાના નગરો બધાનો આયોજન પૂર્વક અને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગવું વિઝન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસ્યું છે.આપણા શહેરી ક્ષેત્ર સહિતનો વિકાસ વિશ્વના વિકસિત દેશો કરતાં ક્યાંય પાછળ નથી અને વિશ્વના રાષ્ટ્રોમાં જે શ્રેષ્ઠ સુવિધા હોય તે ગુજરાત-ભારતમાં પણ મળે છે તેવી પ્રતિતી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં G-20ની સફળતાપૂર્વકની પ્રેસીડેન્સીથી ભારતે G-20 દેશોને કરાવી છે.પાછલા દશકનો ગ્રોથરેટ એવરેજ 10 ટકાથી વધુ છે એટલું જ નહીં, આત્મનિર્ભરતા તરફ આગળ વધીને આપણા શહેરો ગામોએ મેઇક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણા નગરો-મહાનગરોમાં સુખ સુવિધા, વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ વડાપ્રધાનએ રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર-મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે.

શહેરી વિકાસ અગ્ર સચિવ  અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં શહેરી વિકાસ વિભાગ તરફથી મોકલવામાં આવેલી તમામ દરખાસ્તો અંગે શહેરી વિકાસ મંત્રી તરીકે હંમેશા હકારાત્મક અભિગમ દાખવીને ત્વરિત નિર્ણયો લીધા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code