- રાજ્યના વાહનચાલકો માટે એક રાહતના સમાચાર
 - આરસી બૂક તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઇ
 - આ માટે રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરીએ નવો આદેશ રજૂ કર્યો
 
ગાંધીનગર: વાહનચાલકો માટે એક રાહતના સમાચાર છે. કોરોના વાયરસની મહામારીને કારણે આરસી બૂક તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ, 2021 સુધી લંબાવાઇ છે. અગાઉ કાચા લાયસન્સની મર્યાદા વધારવામાં આવી હતી. રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરીએ નવો આદેશ રજૂ કર્યો છે. કોરોનાના પગલે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બૂક, ફિટનેસ સર્ટિફિકેટ તથા પરમિટ સહિતના દસ્વાતેજોની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, અગાઉ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત વર્ષે આ તમામ દસ્વાતેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ હતી. ત્યારબાદ તેમાં વધુ ત્રણ મહિનાનો ઉમેરો કરાયો હતો. નવા વર્ષની સાથે તમામ દસ્તાવેજોની મુદત 31મી ડિસેમ્બર 2020એ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ સરકારના નવા આદેશ મુજબ જેમની મુદ્દત પૂર્ણ થઇ ગઇ હશે તો પણ તેની વેલિડીટી 31 માર્ચ, 2021 સુધી માન્ય ગણાશે.
નોંધનીય છે કે, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુકની મુદતમાં વધારો કરતા ફરી એકવાર નાગરિકોને એક મોટી રાહત આપી છે. હાલ કોરોના સંક્રમણના કારણે મોટા ભાગે ઓફિસો બંધ છે અથવા તો લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે ફરી રિન્યૂ કરવા માટે 31 માર્ચ સુધી વેલિડિટી આપી છે. જેમની પણ મુદત પુર્ણ થઈ ગઈ છે તેવા તમામ દસ્તાવેજોની પણ 31 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ માટે માન્ય રાખવામાં આવશે.
(સંકેત)
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

