1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શાળા પ્રવેશોત્સવઃ આંગણવાડી અને ધોરણ-1માં લગભગ 12 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો
શાળા પ્રવેશોત્સવઃ આંગણવાડી અને ધોરણ-1માં લગભગ 12 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો

શાળા પ્રવેશોત્સવઃ આંગણવાડી અને ધોરણ-1માં લગભગ 12 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ-2023ને મળેલી સફળતા સંદર્ભમાં કહ્યું કે, બિપરજોય વાવાઝોડા સામે જે ટીમવર્કની સામૂહિક તાકાતથી ગુજરાત મુકાબલો કરીને હેમખેમ પાર ઉતર્યુ તેવી જ ટીમવર્ક ભાવના શિક્ષણ સેવાના આ યજ્ઞમાં સૌએ દર્શાવી છે તે પ્રસંશનીય છે. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ-2023 માં સહભાગી થયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓના આ પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન-પ્રદાન માટે યોજાયેલી બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ રાજકુમાર પણ આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ શાળા પ્રવેશોત્વમાં જે-તે ગામોની કે શાળાઓની મુલાકાત દરમ્યાન અથવા SMC સાથેની બેઠક દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે ઇચ્છનીય છે. આવું ડૉક્યુમેન્ટેશન સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને જે-તે શાળાઓમાં ત્રૂટિઓ દૂર કરી સુવિધા-સગવડ આપી સારૂં પરિણામ મેળવવામાં મદદરૂપ થશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, શાળાની મુલાકાતે ગયેલા અધિકારીઓ પોતાના સાચા-સારા અનુભવો વ્યક્ત કરીને ભવિષ્યના પ્રવેશોત્સવ માટે ઉપયોગી મહત્વપૂર્ણ સૂઝાવ આપે તે અપેક્ષિત છે. 

આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવ-2023 ની સફળતા અંગેના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના 27 જિલ્લાઓની 27368 પ્રાથમિક શાળાઓમાં આ દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવ અન્વયે 315 જેટલા વર્ગ-1-2ના અધિકારીઓ સહિત 46600થી વધુ મહાનુભાવોએ શાળાઓની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ, ધોરણ-1 માં કુલ 2.30 લાખ બાળકોએ તથા આંગણવાડીમાં 9.78 લાખ ભુલકાંઓએ પ્રવેશ મેળવ્યો છે. આ પ્રવેશોત્સવ દરમ્યાન બાળકો માટે 23.61 કરોડ રૂપિયાની વિવિધ ચીજવસ્તુઓ ભેટ સોગાદો લોકભાગીદારીથી પ્રાપ્ત થઇ છે.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરે કહ્યું કે, રાજ્યની શાળાઓમાં આગામી દિવસોમાં 28973 વર્ગખંડોનું 5200 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરાઇ છે. શાળા પ્રવેશોત્સવને પગલે ગુણોત્સવ અને સ્કૂલ એક્રેડીટેશન પણ રાજ્ય સરકાર કરે છે તેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં પચાસ ટકાથી ઓછો સ્કોર ધરાવતી શાળાઓની સંખ્યામાં આ વર્ષે 11 ટકાનો ઘટાડો થયો છે. પચાસ ટકાથી વધુ સ્કોર ધરાવનારી શાળાઓની સંખ્યા 23885 થી વધીને 28946 થઇ ગઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code