1. Home
  2. revoinews
  3. યોગના વૈજ્ઞાનિક મહત્ત્વ પર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિશિષ્ટ વ્યાખ્યાન
યોગના વૈજ્ઞાનિક મહત્ત્વ પર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિશિષ્ટ વ્યાખ્યાન

યોગના વૈજ્ઞાનિક મહત્ત્વ પર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિશિષ્ટ વ્યાખ્યાન

0
Social Share

વેરાવળ/સોમનાથ, 24 જુલાઈ, 2026 – આધુનિક સંશોધનોના પ્રકાશમાં યોગના વૈજ્ઞાનિક મહત્ત્વ અંગે તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું હતું. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના દર્શન વિભાગ અને વિશિષ્ટ યોગ કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે ૨૦/૦૭/૨૦૨૬ને સોમવારે “Yoga: An Ancient Science Backed by Modern Research” વિષયક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષરૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, વિશિષ્ટ વ્યાખ્યાતા તરીકે રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, તિરુપતિના સાંખ્ય-યોગ વિભાગના અધ્યક્ષ પ્રો. ડી. જ્યોતિ, નિમન્ત્રક રૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા, અનુસ્નાતક વિભાગના નિદેશક પ્રો. વિનોદકુમાર ઝા, સ્નાતક વિભાગના પ્રાચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા, સંશોધન કેન્દ્રોના ઇન્ચાર્જ શોધનિદેશક ડૉ. ડી. એમ. મોકરીયા તથા દર્શન વિભાગના હેડ/ડીન ડૉ. જાનકીશરણ આચાર્ય, યુનિવર્સિટીના તમામ અધ્યાપકો, અધિકારીઓ, શોધાર્થીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Special lecture at Shri Somnath Sanskrit University on the scientific importance of yoga in the light of modern research
Special lecture at Shri Somnath Sanskrit University on the scientific importance of yoga 

વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ

મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ અત્રેની યુનિવર્સિટીના દર્શન વિભાગના ડીન તથા હેડ ડૉ. જાનકીશરણ આચાર્યજીએ મહાનુભાવોના પરિચય સાથે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યાર બાદ નિમન્ત્રકરૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા યોગનું મહત્ત્વ સમજાવી વ્યાખ્યાનના વિષય પર પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કર્યું હતું.

મુખ્ય અતિથિ પ્રો. ડી. જ્યોતિએ જણાવ્યું કે, “Yoga: An Ancient Science Backed by Modern Research” વિષય પર પોતાનું વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે પોતાના વ્યાખ્યાનમાં ચિત્તની 5 ભૂમિ, યોગના અંતરાયો (વિઘ્નો), ચિત્ત વિક્ષેપો અને સાધનામાં આવતા બાધક તત્ત્વો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે આધુનિક તબીબી ક્ષેત્રે યોગનું પ્રદાન સમજાવતા જણાવ્યું કે AIIMS (એમ્સ) જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ યોગ કેન્દ્ર ચાલી રહ્યું છે અને મોટી હોસ્પિટલો સાથે મળીને યોગ વિભાગ સક્રિય રીતે કાર્ય કરી રહ્યો છે.

યોગ એ માત્ર જ્ઞાન કે શ્લોકો બોલવાનો વિષય નથી, પરંતુ તે અનુભવનો વિષય છે

જે રોગોનું સમાધાન દવાઓ દ્વારા શક્ય નથી બનતું, તેમાં આજે યોગને પ્રમુખતા આપવામાં આવી રહી છે. આજે વિશ્વની મોટી સંસ્થાઓમાં ભારતીય યોગશાસ્ત્રો પર વૈજ્ઞાનિક ઢબે આધુનિક સંશોધનો (Modern Research) થઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યોગ એ માત્ર જ્ઞાન કે શ્લોકો બોલવાનો વિષય નથી, પરંતુ તે અનુભવનો વિષય છે અને તેને જીવનમાં આચરણમાં મૂકવો જરૂરી છે.

નિયમિત યોગાભ્યાસ દ્વારા મનુષ્ય ‘પરમ પદ’ પ્રાપ્ત કરી શકે છે. મન જ્યારે અશાંત થાય છે ત્યારે તેની સીધી અસર શરીર પર પડે છે; શરીર એ ફળની છાલ સમાન છે, જો અંદરથી ફળ બગડે તો બહારથી પણ તે ખરાબ થઈ જાય છે, તેથી શરીરના સર્વાંગીણ વિકાસ માટે યોગ અનિવાર્ય છે. તેમણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં ‘પ્રાણ’નું મહત્ત્વ દર્શાવતા માતા અને બાળકના દ્રષ્ટાંત દ્વારા શ્રદ્ધા, ઉત્સાહ, સમતા અને પ્રજ્ઞાનો સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ એવા અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિએ જણાવ્યું કે, પોતાના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં આંતરિક શુદ્ધિ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મનુષ્યે માત્ર બાહ્ય શુદ્ધિ સુધી સીમિત ન રહેતા આંતરિક શુદ્ધિ કેળવવી જોઈએ અને યોગને પોતાના દૈનિક અનુભવમાં લાવવો જોઈએ. તેમણે વિવિધ દ્રષ્ટાંતો આપીને જીવનમાં યોગના વ્યવહારિક ઉપયોગ વિશે સુંદર સમજ આપી હતી.

અંતે, સંશોધન કેન્દ્રોના ઇન્ચાર્જ નિદેશક ડૉ. ડી. એમ. મોકરીયાજીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો અને પૂર્ણતા મંત્રથી સમાપન સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું મંચસંચાલન વિશિષ્ટ યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મનન કુમાર અગ્રવાલે કર્યું હતું. સમગ્ર કાર્યશાળાના સંયોજક તરીકે, ડૉ. જાનકીશરણ આચાર્ય, ડૉ. મનન કુમાર અગ્રવાલ અને ડૉ. મનીષા રામ તેમજ સહાયક તરીકે સંશોધન મદદનીશ શ્રીમતી વૈશાલી વાઘ કામગીરી કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code