અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસના કેસ મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે હાઈકોર્ટે સરકારને આડેહાથ લીધી હતી. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યની વડી અદાલતે તમામ કોર્ટને વર્ચ્યુલ મોડમાં કામગીરી કરવા નિર્દેશ કર્યો છે. તેમજ પક્ષકારો, આરોપીઓ, સાક્ષીઓ અને વકીલની ગેરહાજરીમાં કોઈ પણ એડવર્સ આદેશ નહીં કરવા નિર્દેશ કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટે એક સર્ક્યુલર જાહેર કરીને તમામ અદાલતોને વર્ચ્યુલ મોડમાં જ કામ કરવા આદેશ આપ્યો છે અને ઓછામાં ઓછા સ્ટાફથી કામ ચલાવવા કહ્યું છે. 19 એપ્રિલથી આ હુકમ અમલમાં આવશે. ન્યાયાધીશો પોતાના નિવાસસ્થાનેથી કામકાજ કરશે. માત્ર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને એવું લાગે કે કેટલાક તાલુકાઓ કે અંતરિયાળ વિસ્તારોમાં, જ્યાં ઇન્ટરનેટ કનેકટીવિટીનો પ્રશ્ન સર્જાય તેમ હોય અને ઘરેથી કામ કરવું શક્ય ન હોય, તેવા સંજોગોને બાદ કરતા ન્યાયાધીશો પોતાના નિવાસસ્થાનેથી કામ કરશે. એડવોકેટો, પક્ષકારો, સાક્ષીઓ અથવા આરોપી વ્યક્તિઓની ગેરહાજરીમાં ન્યાયાધીશો કોઈ એડવર્સ ઓર્ડર પસાર કરશે નહીં. ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની સહીથી આ સર્ક્યુલર નો અમલ 19 એપ્રિલથી કરવાનો રહેશે.
ગુજરાત હાઈકોર્ટે કોરોનાના વધતા કેસ અને દર્દીઓના પરિવારજનોની ચિંતા કરવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેનું મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.