1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરના કસવાળી ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ટોળાંએ કર્યો હુમલો
સુરેન્દ્રનગરના કસવાળી ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ટોળાંએ કર્યો હુમલો

સુરેન્દ્રનગરના કસવાળી ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ટોળાંએ કર્યો હુમલો

0
Social Share

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં પોલીસ પર હુમલા કરવાના બનાવો પણ બની રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા નજીક આવેલા કસવાળી ગામે આરોપીઓને પકડવા ગયેલી મોરબી એલસીબીની ટીમ તેમજ ધજાળા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપર ચાલુ ડાયરામાં હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરતા આ ઝપાઝપીમાં ધજાળા પોલીસ ટીમના પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલની ફરિયાદને આધારે 150થી 200 વ્યક્તિના ટોળા વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા સુરેન્દ્રનગર લીમડી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને પોલીસ પર હુમલો કરનારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં ગુનામાં સંડોવાયેલા વનરાજ ઉર્ફે વનો જાદવ નામનો આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા નજીક આવેલા કસવાળી ગામમાં યોજાયેલા ડાયરામાં હાજર હોવાની બાતમીને પગલે મોરબી એલસીબીની ટીમ કસવાળી ખાતે દોડી ગઈ હતી. દરમિયાન ચાલુ ડાયરામાં આરોપીને પકડવા જતા મામલો બીચકતાં ધજાળા પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરંતુ ડાયરામાં હાજર લોકોના ટોળાંએ કાયદો હાથમાં લઈ પોલીસ ટીમ ઉપર હુમલો કરતા આ ઝપાઝપીમાં ધજાળા પોલીસ મથકના કર્મચારીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. બીજી તરફ પોલીસ પાર્ટી ઉપર થયેલા આ હિચકારા હુમલા અંગે મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ લક્ષ્મણભાઇ દ્વારા 150થી 200 લોકોના ટોળા વિરૂદ્ધ ધજાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે, મોરબી એલસીબીની ટીમ ઉપર થયેલા હુમલામાં મોરબીના કોઈપણ પોલીસ જવાનને ઇજા ન પહોંચી હોવાનું એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાએ જણાવ્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code