નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત
- લોકસભામાં કેન્દ્ર સરકારે એક પ્રશ્નનો આપ્યો જવાબ
- રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાદેશિક ભાષાઓ-બોલીઓનો અમલ કરી શકશે
- શિક્ષણ એ સંયુક્તયાદીનો વિષયઃ શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી
દિલ્હીઃ દેશમાં શિક્ષણના સ્તરમાં સુધારો આવે તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય આહાર મળી રહે તે દિશામાં પણ સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નવી શિક્ષણ નીતિ અનુસાર સ્કૂલોમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત કરવામાં આવ્યું છે.
લોકસભામાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન શિક્ષણને લઈને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકસભામાં શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવીએ માહિતી આપી કે, શિક્ષણ એ સંયુક્તયાદીનો વિષય છે અને જો રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓનો અમલ કરી શકે છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ પ્રાથમિક શિક્ષણના સ્તરે સરકારી અને સરકાર સહાયિત શાળાઓમાં વિદ્યાર્થીઓને ગરમ રાંધેલું ભોજન આપવામાં આવે છે.