ઈજનેરી કોલેજના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. ત્યારે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચની માંગ સાથે આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે. આગામી સમયમાં અધ્યાપકો કાળા કપડાં તથા કાળી પટ્ટી બાંધીને અને બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર વિરોધ કરશે. ઇજનેરી કોલેજના અધ્યાપકો સળંગ નોકરી, 7મા પગાર પંચના ભથ્થા,CAS, બઢતી,બદલી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગને લઈને અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવતાં હવે ઇજનેરી કોલેજમાં અધ્યાપકો આંદોલનન માર્ગે વળ્યાં છે. અધ્યાપકો 12 સપ્ટેમ્બરથી સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. 12 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી પડતર પ્રશ્નોને લઈને સોશિયલ મીડિયામાં અભિયાન ચાલશે. જેમાં #padatarprashno ટ્વીટ કરવામાં આવશે.15 થી 22 સપ્ટેમ્બર સુધી કાળા કપડાં તથા હાથે કાળી પટ્ટી બાંધીને શિક્ષણકાર્ય કરાવવામાં આવશે. 23 સપ્ટેમ્બરથી પડતર પ્રશ્નોનું નિરાકરણના આવે ત્યાં સુધી બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરશે. સરકારથી નારાજ પાર્ટ ટાઈમ અધ્યાપકો શિક્ષક દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે.વર્ષોથી કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેની જાહેરાત થઈ પરંતુ અમલ ના થયો તથા કેટલાક પ્રશ્નો અંગે હજુ કોઈ નિરાકરણ ના આવતા હવે અધ્યાપકોએ કાળા દિવસની ઉજવણી કરવાનો નિણર્ય કર્યો છે.જ્યાં સુધી પાર્ટ ટાઈમના અધ્યાપકોને 30 માર્ચ 2017ના ઠરાવ મુજબ કાયમી કરવામાં નહિ આવે ત્યાં સુધી કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણકાર્ય કરશે.