1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્ય સરકાર દ્વારા બુધવારે વિશ્વ સિંહ દિનની ઊજવણી, 6500 શાળાઓમાં કાર્યક્રમો યોજાશે

રાજ્ય સરકાર દ્વારા બુધવારે વિશ્વ સિંહ દિનની ઊજવણી, 6500 શાળાઓમાં કાર્યક્રમો યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં તા.10મી ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઊજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે. દરમિયાન રાજ્યના વન વિભાગ દ્વારા પણ વિશ્વસિંહ દિનની ઊજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 10મી ઓગષ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઊજવણી કરવામાં આવશે. જેમાં શાળાઓમાં ગ્રામ્ય અને શહેર કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા તેમજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે ઊજવણી કરવાનું વન વિભાગનું આયોજન છે. આ ઉજવણી એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારની આઠ જિલ્લાની આશરે 6,500 જેટલી શાળા-કોલેજોમાં આ કાર્યક્રમ ઊજવાશે, જેમાં આશરે 15 લાખથી વધુની લોકભાગીદારી નિર્માણ થશે. જે-તે ગામ/શહેરની શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, લોકપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ શાળામાં 10મી ઓગષ્ટના રોજ એકત્ર થઈ આ કાર્યક્રમમાં જોડાશે. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ત્યારબાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલા રૂટ્સ પર સિંહોના મહોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગતા નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહારેલી યોજાશે. રેલી પૂર્ણ કરી તમામ શાળાના પટાંગણમાં એકત્ર થઇ સભાના રૂપમાં મળશે, જેમાં સિંહ પર બનેલી 10થી 12 મિનીટની ડોકયુમેન્ટ્રી ફિલ્મ નિહાળશે. ત્યારબાદ શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વક્તવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ (પ્રતિજ્ઞા) લેશે.

એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે. રાજ્ય સરકારના, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પરિણામે સિંહોની વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થયો છે અને આજે સૌરાષ્ટ્રના એશિયાટીક લાયન લેન્ડ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. લોકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ નિર્માણ થાય અને સંરક્ષણ અને સંવર્ધનમાં વધુમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ અને લોકોના સહિયારા પ્રયાસથી એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના આઠ જિલ્લાની આશરે 6,500  શાળાઓમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

વિશ્વ સિંહ દિવસની ઊજવણી વન વિભાગ, ગુજરાત દ્વારા 2016નાં વર્ષથી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગનો સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગ્રામજનોની લોકભાગીરીથી આ ઊજવણી કરવામાં આવે છે. ભારત અને ગુજરાતના ગૌરવ એશિયાઇ સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકભાગીદારી નિર્માણ થાય તે માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે જેમાં સહિયારા પ્રયત્નો કરી વધુમાં વધુ લોકો શાળા કક્ષાએ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવતા આ કાર્યક્રમમાં જોડાય તેવી આશા રાખવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code