દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો હજુ ટળ્યો નથી
- દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા
- પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે આપી ચેતવણી
- કોરોનાને લઈને કહી મોટી વાત
દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ છે, દેશમાં લોકોને અત્યારે કોરોનાથી રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ મહત્વની વાત કહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો હજુ ટળ્યો નથી. તેવામાં આપણે સાવચેત રહેવાની જરૂર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, ભારત સરકાર કોરોના મેનેજમેન્ટના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. આપણે દુનિયાના સમગ્ર મેનેજમેન્ટની તુલનામાં 23 ગણી સારી વ્યવસ્થા કરવામાં સફળ રહ્યાં છીએ. આપણે ઝડપથી રસીકરણ અભિયાન ચલાવ્યું સાથે 99 દેશોને રસી ઉપલબ્ધ કરાવી હતી. આજે આપણે રસીકરણના 1.81 અબજ ડોઝ આપી દીધા છે.
લવ અગ્રવાલે જણાવ્યુ કે, અમે રસી લગાવનાર દરેક નાગરિકને ક્યૂઆર કોડ ડિજિટલ પ્રમાણપત્ર આપ્યું છે. આપણા હેલ્થ વર્કરે ઘરે ઘરે જઈને લોકોને પૂછ્યુ કે તમે વેક્સીન લીધી છે કે નહીં. તેમના પ્રયાસોને દેશે સમર્થન આપ્યું છે. ભારતમાં માત્ર 145 દિવસમાં 25 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1134નો ઘટાડો થયો છે. વર્તમાનમાં એક્ટિવ કેસ માત્ર 25106 છે, જે કુલ કેસના 0.06 ટકા છે. આ દરમિયાન 1549 નવા કેસ સામે આવ્યા અને 31 લોકોના મોત થયા છે. કુલ કેસ વધીને 4.30 કરોડ અને કુલ મૃત્યુ 5.16 લાખ થયા છે.