તમિલનાડુ વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિને સમાનત ધર્મને લઈને ફરીથી ઓક્યુ ઝેર
ચેન્નાઈ, 12 મે 2028: તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ડીએમકે ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. વિધાનસભામાં સંબોધન દરમિયાન તેમણે સનાતન ધર્મને લઈને કહ્યું કે, જે ધર્મે લોકોને વહેંચવાનું કામ કર્યું છે, તેને ખતમ કરી દેવો જોઈએ. તેમના આ નિવેદન બાદ રાજ્ય અને દેશના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ અને વિવાદો છેડાવાની શક્યતા સેવાઈ રહી છે.
પોતાના સંબોધનમાં ઉદયનિધિએ માત્ર વિવાદ જ નહીં, પરંતુ રાજકીય શિષ્ટાચાર અને સહયોગની પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને વિપક્ષી નેતાઓ દ્વારા જે રીતે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તેવું જ સૌહાર્દપૂર્ણ વાતાવરણ વિધાનસભાની અંદર પણ જોવા મળવું જોઈએ. ઉદયનિધિએ ઉમેર્યું કે, “સત્તા પક્ષ અને વિપક્ષ ભલે અલગ-અલગ હરોળમાં બેસતા હોય, પરંતુ તમિલનાડુના સર્વાંગી વિકાસ માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.”
વિધાનસભામાં તેમણે તમિલનાડુના રાજ્ય ગીતને લઈને ચાલી રહેલા વિવાદ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વાંધો ઉઠાવ્યો હતો કે રાજ્ય ગીતને ‘વંદે માતરમ’ પછી વગાડવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, “ત્યાં વંદે માતરમ વગાડવામાં આવ્યું ન હતું અને ત્યાંના રાજ્યપાલ કોણ છે તે સૌ જાણે છે. ભવિષ્યમાં તમિલનાડુના રાજ્ય ગીતને ક્યારેય બીજા સ્થાને રાખવામાં ન આવે તેવી અમારી માંગ છે.”
રસપ્રદ વાત એ છે કે ઉદયનિધિ સ્ટાલિને ગૃહમાં પોતાના અંગત અનુભવો પણ શેર કર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે, “મેં અને મુખ્યમંત્રીએ એક જ કોલેજમાં અભ્યાસ કર્યો છે. આ નાતે હું મારા અનુભવો અને જ્ઞાન સરકાર સાથે વહેંચવા માંગુ છું.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે મુખ્યમંત્રી વિપક્ષના સકારાત્મક સૂચનોનો સ્વીકાર કરશે.


