અમદાવાદ, 6 જુલાઈ, 2026 : No need to obtain consumer consent for installing smart meters રાજ્યમાં સરકારી માલિકીની વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની ઝૂંબેશ હાથ ધરાતા વીજ ગ્રાહકો દ્વારા જોરદાર વિરોધ થયો હતો. મોટાભાગના વીજ ગ્રાહકોનું માનવું છે કે, સ્માર્ટ મીટર લગાવવાથી વધુ બિલ આવે છે. આથી લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે ગ્રાહકની પૂર્વ મંજૂરીની જરૂરી નથી એવો આદેશ ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે આપ્યો છે.
ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલએ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વીજ વિતરણ કંપનીઓ પ્રવર્તમાન કાયદા અને નિયમો અનુસાર ગ્રાહકના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે. આ પ્રક્રિયા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ મેળવવી જરૂરી નથી. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને ગ્રાહક જૂનું પરંપરાગત મીટર ફરી લગાવવાની માંગ કરી શકે નહીં. આ નિર્ણય મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ MGVCL (લાલબાગ ડિવિઝન, વડોદરા) ના કેસમાં અપાયો છે. આ કેસમાં ગ્રાહકનો દાવો હતો કે, અમારી મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવાયું, જેના કારણે બેંકની ઓટો-ડેબિટ સુવિધા ખોરવાઈ અને બાદમાં તેમનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.
આ અંગે MGVCL દ્વારા રજૂઆત કરાઈ હતી કે, સ્માર્ટ મીટરનું સ્થાપન Electricity Act, 2003, CEA Metering Regulations, Electricity (Rights of Consumers) Rules અને GERC Supply Code અંતર્ગત કરાયું છે. એટલું જ નહીં, બેંક ઓટો-ડેબિટની સમસ્યાને મીટરના પ્રકાર સાથે કોઈ લેવા-દેવા નથી. વીજ લોકપાલે ગ્રાહકની અપીલને ફગાવી દેતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (CGRF)ના નિર્ણયને યથાવત્ રાખ્યો છે અને મહત્ત્વના મુદ્દા સ્પષ્ટ કર્યા છે. જેમ કે, આ આદેશ GERCના વીજ લોકપાલ દ્વારા આપેલો કાયદેસરનો ક્વૉસી જ્યુડિશિયલ (Quasi-Judicial) એટલે કે ‘અર્ધ-ન્યાયિક’ આદેશ છે. કોઈ સરકારી સંસ્થા, ટ્રિબ્યુનલ કે સત્તાધિકારી પાસે કાયદાકીય વિવાદો સાંભળવાની, પુરાવા તપાસવાની અને ચુકાદો આપવાની અદાલત જેવી જ સત્તા હોય, ત્યારે તેને ‘ક્વોસી-જ્યુડિશિયલ બોડી’ કહેવામાં આવે છે. આવી સંસ્થાઓ કાયદાના ચોકઠામાં રહીને સામાન્ય અદાલતોની જેમ જ ન્યાયિક પ્રક્રિયા હાથ ધરે છે અને બંને પક્ષોને સાંભળ્યા બાદ આદેશ આપે કરે છે. GERC વીજ લોકપાલ, ગ્રાહક ફોરમ, ટેક્સ ટ્રિબ્યુનલ વગેરે અર્ધ-ન્યાયિક સંસ્થાઓ છે, જેમના દ્વારા આપેલા આદેશ કાનૂની રીતે બંધનકર્તા હોય છે.


