Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતિશકુમાર માટે ‘ભારત રત્ન’ની માંગણી કરી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે 2025માં બિહારની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે. ગિરિરાજ સિંહે કહ્યું કે નીતીશ કુમારે બિહારને વધુ ઉંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે રાજ્યને જર્જરિત વ્યવસ્થા અને જંગલરાજમાંથી બહાર કાઢ્યું છે. આવી સ્થિતિમાં તેમના કામ માટે તેમને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. ગિરિરાજ સિંહે એમ પણ કહ્યું કે, લાલુ યાદવ ગમે તેટલી કોશિશ કરે, હવે તેમની વાત સાંભળનાર કોઈ નથી. તેમણે લાલુ યાદવ પર કટાક્ષ કર્યો કે હાલમાં લોકો તેમની જાળમાં ફસાવાના નથી.

મંત્રીએ બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરી બિહાર અને દેશના અન્ય ભાગોમાં સામાજિક સમરસતા માટે ખતરો ઉભી કરી રહી છે. પૂર્ણિયા, અરરિયા, કટિહાર અને કિશનગંજ જેવા સરહદી વિસ્તારોનો વિશેષ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે બિહારમાં 800 કિલોમીટરની સરહદે ગેરકાયદેસર મસ્જિદોના બાંધકામને ઓળખવાની જરૂર છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને દેશની બહાર હાંકી કાઢવા જોઈએ. ગિરિરાજ સિંહે કહ્યું કે આ સમસ્યા માત્ર બિહાર પુરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશ માટે પડકાર છે. તેમણે સરકાર અને સમાજને ઘૂસણખોરોની ઓળખ કરવા અને યોગ્ય પગલાં લેવા હાકલ કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હવે સાંસદોને ધક્કો મારનાર બાઉન્સર બની ગયા છે. તેમણે કહ્યું કે અમિત શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોંગ્રેસે આજ સુધી માત્ર આંબેડકરનું નામ લઈને લોકોને છેતર્યા છે, પરંતુ હવે સત્ય લોકો સમક્ષ આવી ગયું છે.