1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિકાસનો મુખ્ય આધાર પાણી અને આપણી આવનારી પેઢી માટે પાણી સુરક્ષિત રાખીશું: ભૂપેન્દ્ર પટેલ
વિકાસનો મુખ્ય આધાર પાણી અને આપણી આવનારી પેઢી માટે પાણી સુરક્ષિત રાખીશું: ભૂપેન્દ્ર પટેલ

વિકાસનો મુખ્ય આધાર પાણી અને આપણી આવનારી પેઢી માટે પાણી સુરક્ષિત રાખીશું: ભૂપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ દરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત કે અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે. વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવ્યા છીયે. હજુ પણ જરૂરિયાત મુજબના કામો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લામાં 131 કરોડ રૂપિયાના 70 જેટલા વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે રૂ. 84.56 કરોડના ખર્ચે નવનિર્મિત 3 જૂથ પાણી પુરવઠા યોજનાઓના લોકાર્પણ સાથે બે પશુદવાખાના, 2 ગ્રામ્ય માર્ગો અને 45 નવિન આંગણવાડીઓ આદિજાતિ જિલ્લાને ભેટ ધરી હતી. મુખ્યમંત્રીએ વિવિધ લાભાર્થીઓને ‘મા’ કાર્ડ, ગંગાસ્વરૂપા બહેનોને પેન્શન સહાય ફાળવણી પત્ર, ભુલકાંઓને કિટ વગેરે અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકાસનો મુખ્ય આધાર પાણી છે. ગુજરાતે બે-અઢી દાયકા પહેલાં પાણીની યાતના જોઇ છે, તંગી ભોગવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્રના દ્રષ્ટિવંત આયોજનથી ઘરે-ઘરે પાણી પહોચતું થયું છે, પુરતું પાણી લોકોને મળે છે. ‘‘આપણને આપણી આગલી પેઢીએ પાણી આપ્યું છે ત્યારે હવે આપણે પણ તેનો સુઆયોજિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીને આવનારી પેઢી માટે પાણી સુરક્ષિત રાખવાનું છે’’.

તેમણે કહ્યું કે, મહાવીર સ્વામીએ આપણને પાણી ‘ઘી’ની જેમ વાપરવા સૈકાઓ પહેલાં સલાહ આપેલી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાણીને પારસમણિ સમાન ગણાવે છે ત્યારે એ પાણી વેડફાય નહિ, તેનો બગાડ થાય નહિં અને સૌને પુરતું પાણી મળી રહે તેવી સહિયારી જવાબદારી આપણે નિભાવવાની છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી, માર્ગો દરેક સુવિધા છેક અંતરિયાળ ગામો સુધી પહોચાડવાની સફળતા મેળવી છે. આદિજાતિ બાળકો હવે ઘરઆંગણે શાળાઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા થયા છે. એટલું જ નહિ, ડૉક્ટર, ઇન્જીનીયર, પાયલોટ જેવા ઉચ્ચ કારકીર્દી ક્ષેત્રોમાં પણ જોડાય છે.  દેશમાં 20 પરિવારો હોય ત્યાં વીજળીનું કનેક્શન આપવાની જોગવાઇ છે, પણ રાજ્ય સરકારે આદિવાસી પરિવારોની નિવાસ પદ્ધતિને ધ્યાને રાખીને માત્ર 10 ઘર હોય તેવા ફળિયા વિસ્તારોને પણ વીજ જોડાણથી આવરી લેવામાં આવે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારોના બાળકો, વિદ્યાર્થીને ઓનલાઇન અભ્યાસમાં કનેક્ટીવીટીની વધુ સુવિધા આપવા મોબાઇલ કનેક્ટીવીટી માટે 500 નવા મોબાઇલ ટાવર ઊભા કરવાના છીયે. આ માટે બજેટમાં આ વર્ષે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code