1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી
માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી

માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ પવન સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે ગઈકાલે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં હતા અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા હતા. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ સહિતના તૈયાર પાક વેચવા માટે આવ્યા છે, પરંતુ વાદળછાયું વાતાવરણ બંધાતાં ગમે ત્યારે વરસાદ પડવાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ, ગોંડલમાં પણ અમીછાંટણાં થતાં યાર્ડમાં ડુંગળી, મગફળી, ચણા અને મરચાની બે દિવસ આવક બંધ કરવામાં આવી છે. છાપરાં નીચે જે હરાજી થાય એ જ પાકની આવક શરૂ રાખવામાં આવી છે.

રાજકોટમાં મંગળવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું,  બે દિવસ માવઠાની આગાહી હોવાથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ખેડૂતોના પાક પર વરસાદ પડે તો નુકસાન પહોંચે એમ છે, આથી માર્કેટ યાર્ડ દ્વારા નવી આવકો બંધ કરવામાં આવી છે તેમજ ખેડૂતોને યાર્ડની અંદર ખુલ્લામાં તૈયાર પાક ન ઉતારવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ પાલમાં નહીં, પણ કોથળામાં જ તૈયાર પાક લાવવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સૌથી વધુ ચણા, ઘઉં, લસણ અને મગફળીની આવક છે.

જિલ્લાના જસદણ પંથકમાં પણ ગઈકાલે વહેલી સવારથી વાદળો છવાઇ ગયાં હતા. જોકે વાદળછાંયા વાતાવરણને લીધે લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે છૂટાછવાયાં ઝાપટાં પડશે. ખારચિયા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે હજુ મારી વાડીએ ખેતરમાં ડુંગળી-લસણનો તૈયાર પાક લેવાનો બાકી છે, આથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મજૂરો કરી તાત્કાલિક લેવાની કામગીરી હાથ ધરી છે. માવઠું પડશે તો તૈયાર પાકને મોટું મુકસાન પહોંચશે. વાદળો છવાયેલા હોવાથી ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે. દરમિયાન ગોંડલ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતુ. ધીમી ગતિએ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં જ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને 2 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે એવી આગાહી કરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code