9 ઑગસ્ટના વિશ્વ મૂળનિવાસી દિવસને ભારત સાથે કોઈ લેવાદેવા નથીઃ જસ્ટિસ (નિવૃત્ત) પ્રકાશ ઉઈકે
- અંગ્રેજોના આ અપરાધભાવને દૂર કરવા સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા વર્ષમાં એક દિવસ મૂળ નિવાસી દિવસની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું
- આ માટેના યુએન ચાર્ટર ઉપર ભારતે સહી કરી નથી
[અલકેશ પટેલ] 1 ઑગસ્ટ, 2026 – આખી દુનિયા છેલ્લા ઘણાં વર્ષથી 9 ઑગસ્ટના દિવસે વિશ્વ મૂળનિવાસી દિવસ ઉજવે છે. પરંતુ ભારત માટે આવા દિવસનો કોઈ અર્થ નથી તેમ જણાવી નિવૃત્ત ન્યાયમૂર્તિ પ્રકાશ ઉઈકેએ આ મુદ્દે આજે અહીં વિગતવાર છણાવટ કરી હતી.
ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત ભારતમાં અનુસૂચિત જનજાતિઓઃ ઓળખ, સંરક્ષણ અને વર્તમાન પડકારો વિષય ઉપર બોલતાં જસ્ટિસ પ્રકાશ ઉઈકેએ કહ્યું કે, આદિવાસી શબ્દ આપણો છે જ નહીં. તેમણે જણાવ્યું કે ભારતમાં 250-300 વર્ષ પહેલાં અંગ્રેજોનો કાળખંડ શરૂ થયો અને 1857ની ક્રાંતિ પછી 1871માં તેમણે વસ્તીગણતરી શરૂ કરી. એ વસ્તીગણતરી વખતે તેમની જે પણ કલ્પના હતી તે મુજબ તેમણે ‘આદિવાસી’ શબ્દ માન્ય રાખ્યો. જ્યાં સુધી અંગ્રેજોનું શાસન ચાલ્યું ત્યાં સુધી તેઓ આદિવાસી શબ્દને જ ઉછાળતા રહ્યા.

હકીકત શું છે?
પરંતુ વાસ્તવમાં ભારતીય શાસ્ત્રો, સંસ્કૃતિ અને તેથી આગળ વધીને બંધારણમાં પણ આદિવાસી શબ્દનો ઉલ્લેખ નથી. એટલું જ નહીં અનુસૂચિત જનજાતિને લગતા જેટલા પણ કાયદા બન્યા છે તેમાં પણ આદિવાસી શબ્દ પ્રયોગ થયો નથી. અને આ જ કારણે બંધારણ તૈયાર થયું ત્યારે બાબાસાહેબ આંબેડકરે પણ આપણે શા માટે આદિવાસી શબ્દનો પ્રયોગ કરવાની જરૂર નથી તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.
જસ્ટિસ ઉઈકેએ કહ્યું કે, હકીકતે અમેરિકનો અને યુરોપિયનોએ, ખાસ કરીને અંગ્રેજોએ અનેક દેશોમાં આક્રમણો કરીને ત્યાંની મૂળ પ્રજાનો તેમની સંસ્કૃતિ સહિત નાશ કરી દીધો હતો અથવા તેમને એવા હાંસિયામાં ધકેલી દીધા કે તેઓ આજ સુધી પ્રગતિથી વંચિત રહ્યા. અંગ્રેજોના આ અપરાધભાવ (ગિલ્ટી ફિલિંગ)ને દૂર કરવા સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા વર્ષમાં એક દિવસ મૂળ નિવાસી દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું.
આ પ્રસ્તાવ ભારત સમક્ષ પણ આવ્યો હતો પરંતુ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે એમ કહીને ભારત સરકાર વતી સહી કરવાનું ટાળ્યું હતું કે, ભારતમાં બધા જ જનજાતિ છે – મૂળનિવાસી જ છે. અમારે ત્યાં કોઈ વિદેશથી આવેલા શાસનકર્તા નથી.

અને આ જ કારણે ભારતમાં વિશ્વ મૂળનિવાસી દિવસ ઉજવવાનો કોઈ અર્થ નથી તેમ જસ્ટિસ પ્રકાશ ઉઈકેએ સમગ્ર વાતનો સારાંશ આપતાં કહ્યું હતું. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, ભારતમાં ઘણા રાજકારણીઓ આ બાબત જાણતા નથી અથવા જાણતા હોવા છતાં પોતાની મતબેંકને નારાજ નહીં કરવા માટે 9 ઑગસ્ટની ઉજવણીમાં સામેલ થતા હોય છે.
જનજાતિ કલ્યાણના ક્ષેત્રમાં સૌથી મોટી કામગીરી ઠક્કરબાપાએ કરી છે
જસ્ટિસ પ્રકાશ ઉઈકેએ કહ્યું કે, સમગ્ર દેશમાં જનજાતિ કલ્યાણના ક્ષેત્રે સૌથી નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી ગુજરાતના ઠક્કરબાપાએ (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર) કરી છે.


