1. Home
  2. ગુજરાતી
  3. 26/11 આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે, યુએસ કોર્ટે ના આપી રાહત
26/11 આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે, યુએસ કોર્ટે ના આપી રાહત

26/11 આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે, યુએસ કોર્ટે ના આપી રાહત

0
Social Share

નવી દિલ્હીઃ મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલા કેસમાં સંડોવાયેલા કુખ્યાત આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન રાણાએ અમેરિકાની કોર્ટમાં કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે ભારત પ્રત્યાર્પણ કરવામાંની કામગીરી વધારે તેજ બનશે. અમેરિકી કોર્ટે તહવ્વુર રાણાની રિટને ફગાવી દીધી છે. અમેરિકી કોર્ટના નિર્ણયને કારણે રાણાના પ્રત્યાર્પણને લીલી ઝંડી મળી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 26/11ના આકંતવાદી હુમલામાં રાણાની સંડોવણી સામે આવી હતી. રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. ભારતે રાણાના પ્રત્યાર્પણ માટે અમેરિકાને વિનંતી કરી હતી. જો કે, તહવ્વુરએ આ આદેશ સામે અપીલ કરી છે. અપીલમાં, તેણે જ્યાં સુધી તેની અપીલ અન્ય કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી તેના ભારતમાં પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી છે. તહવ્વુર રાણાની અરજીને અમેરિકી અદાલતે ફગાવી દીધા બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે પ્રમાણપત્ર આપવાનો માર્ગ સાફ કરી દીધો છે.

ઑગસ્ટ 10ના આદેશમાં, ‘સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા’માં યુનાઈટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાના જજ ડેલ એસ. ફિશરે લખ્યું, “કોર્ટે એક અલગ આદેશમાં, તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી.” જો કે, રાણાએ આ આદેશ સામે ‘નવમી સર્કિટ કોર્ટ’માં અરજી કરી હતી અને જ્યાં સુધી સુનાવણી ન થાય ત્યાં સુધી તેના ભારતમાં પ્રત્યાર્પણ પર રોક લગાવવા વિનંતી કરી હતી. રાણાએ જૂનમાં પિટિશન દાખલ કરી હતી અને યુએસ કોર્ટના આદેશને પડકાર્યો હતો જેણે તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવાની યુએસ સરકારની વિનંતીને સ્વીકારી હતી. જજ ફિશરે પોતાના આદેશમાં કહ્યું કે રાણાએ પોતાની અરજીમાં બે મૂળભૂત દલીલો કરી છે.

પ્રથમ દલીલ, તેઓએ કહ્યું કે, તેને સંધિ હેઠળ પ્રત્યાર્પણ કરી શકાતું નથી કારણ કે ભારત તે કૃત્યો માટે તેના પર કેસ ચલાવવા માંગે છે જેના માટે યુએસ કોર્ટ દ્વારા તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો અને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, અને બીજી દલીલ એ છે કે સરકારે સાબિત કર્યું નથી કે ત્યાં એવું માનવાનું સંભવિત કારણ છે કે રાણાએ તે ગુના કર્યા છે જેના માટે ભારતમાં તેની સામે કાર્યવાહી થવાની છે. ન્યાયાધીશે બંને દલીલો ફગાવી દીધી હતી.

ન્યાયાધીશના આદેશ બાદ, રાણાના એટર્ની પેટ્રિક બ્લેગન અને જ્હોન ડી. ક્લાઈને ‘યુનાઈટેડ સ્ટેટ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ નાઈનથ સર્કિટ’માં તેની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. યુએસ સરકારે જૂનમાં રાણા દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ પિટિશનને નકારી કાઢવા વિનંતી કરી હતી.

ભારતમાં, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ હુમલાઓ દરમિયાન અજમલ કસાબ નામનો આતંકવાદી જીવતો પકડાયો હતો, જેને ભારતમાં 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. હુમલા દરમિયાન સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મુંબઈ આતંકી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code