1. Home
  2. ગુજરાતી
  3. એક જ દિવસમાં 50.8 લાખ LPG સિલિન્ડરનું વિતરણ, ઓનલાઇન બુકિંગ 98 ટકા પહોંચ્યું
એક જ દિવસમાં 50.8 લાખ LPG સિલિન્ડરનું વિતરણ, ઓનલાઇન બુકિંગ 98 ટકા પહોંચ્યું

એક જ દિવસમાં 50.8 લાખ LPG સિલિન્ડરનું વિતરણ, ઓનલાઇન બુકિંગ 98 ટકા પહોંચ્યું

0
Social Share

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે કમર કસી છે. નેશનલ મીડિયા સેન્ટર ખાતે યોજાયેલી આંતર-મંત્રાલય બ્રીફિંગમાં પેટ્રોલિયમ, શિપિંગ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાઈને ખરીદી કરવાની જરૂર નથી.

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક જ દિવસમાં દેશભરમાં 50.8 લાખથી વધુ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડર વિતરિત કરવામાં આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઓટો એલપીજીનું સરેરાશ વેચાણ વધીને 353 મેટ્રિક ટન/દિવસ થયું છે, જે અગાઉના મહિનાઓની સરખામણીએ 100 ટકાનો વધારો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. સરકારે ગ્રાહકોને રાહત આપવા એક્સાઈઝ ડ્યુટીમાં લિટર દીઠ રૂ. 10નો ઘટાડો પણ કર્યો છે. ઘરેલુ બજારમાં પુરવઠો જળવાઈ રહે તે માટે ડીઝલ પર નિકાસ લેવી વધારીને રૂ. 55.50 અને એટીએફ પર રૂ. 42 પ્રતિ લિટર કરવામાં આવી છે.

  • એલપીજીની સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે સરકાર કડક બની

એલપીજીની સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે સરકાર કડક બની છે. દેશભરમાં 2200થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 325 ડિસ્ટ્રીબ્યુટરશીપ પર દંડ ફટકારવામાં આવ્યો છે અને 72 જેટલી એજન્સીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે અત્યાર સુધીમાં જમીન સરહદ માર્ગો દ્વારા 2,464 ભારતીય નાગરિકોને ઈરાનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે. યુએઈ, સાઉદી અરેબિયા અને ઓમાનથી ફ્લાઇટ્સ કાર્યરત છે. જોકે, ઈરાનની મુસાફરી ન કરવા ભારતીયોને કડક સલાહ અપાઈ છે. ગલ્ફ પ્રદેશમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને ડીજી શિપિંગ દ્વારા 2,829થી વધુ નાવિકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.

સરકારે અફવાઓથી સાવધ રહેવા અને સાચી માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરવા વિનંતી કરી છે. વધુમાં, એલપીજી પરનું દબાણ ઘટાડવા માટે ગ્રાહકોને ઇલેક્ટ્રિક ઇન્ડક્શન કુકટોપ્સ અને પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ) જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારોમાં એલપીજી રિફિલ બુકિંગનો ગાળો 21 થી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર: માત્ર 22 મિનિટમાં આતંકીઓનું કમાન્ડ નેટવર્ક તબાહ કરાયું હતું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code