અમદાવાદમાં ઓછું પરિણામ લાવતી 52 શાળાઓને દત્તક અપાઈ, પાડોશની સ્કુલો માર્ગદર્શન આપશે
અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં ભણતા નબળા વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ ભણાવવા માટે શિક્ષકોને સમયદાન આપવાની સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની જે શાળાઓનું બોર્ડનું પરિણામ 30 ટકા કરતા ઓછું આવ્યું હોય તેવી શાળાઓને અલગ તારવીને આવી શાળાઓને પાડોશની શાળાઓને દત્તક આપવામાં આવી છે. નબળી શાળાઓના વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપીને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધો.10 અને 12માં બોર્ડની પરીક્ષામાં 30 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી સ્કૂલોનું પરિણામ સુધારવા માટે અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા કવાયત શરૂ કરાઇ છે. તાજેતરમાં શહેરની ઓછા પરિણામ ધરાવતી સ્કૂલ સંચાલકોની મીટિંગ યોજાઇ હતી. જે મુજબ ઓછુ પરિણામ ધરાવતી શહેરની 52 સ્કૂલોને નજીકમાં સારૂ પરિણામ ધરાવતી સ્કૂલને દત્તક અપાઇ છે. દત્તક લેનારી સ્કૂલ નબળી સ્કૂલને માર્ગદર્શન અને સારા પરિણામ માટેની વ્યૂહરચના પુરી પાડશે. આ માટે વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન અપાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં છેલ્લા વર્ષોથી 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા ઓછી થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને શહેર ડીઇઓ દ્વારા સ્કૂલોને દત્તક આપવાની કાર્યવાહી શરૂ કરાઇ છે, જેથી સ્કૂલોનું પરિણામ સુધારી શકાય. આ સાથે જ ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો પાસેથી માહિતી અને પરિણામ સુધારણા માટેના સુચનો પણ મગાવાયા છે. આગામી સમયમાં યોજાનારી મીટિંગમાં તમામ સ્કૂલ સંચાલકોને બોલાવાશે અને પરિણામ સુધારણા માટે શું કાર્યવાહી કરી શકાય તેને લઇને ચર્ચા કરાશે. ઓછું પરિણામ લાવતી શાળાઓના આચાર્યના કહેવા મુજબ શાળાઓમાં શિક્ષકોની અપુરતી સંખ્યા, કોરોનાને કારણે પાયો કાચો રહેવો ઉપરાંત વિદ્યાર્થીઓની ઓછી હાજરી, વારંવાર ઘર બદલવાથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ પુરતો સમય આપતા નથી