ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે દેવવ્રતની પસંદગીના વિરોધમાં 8 ટ્રસ્ટીઓએ આપ્યા રાજીનામાં
અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે વર્ષોથી ગાંધીવાદીની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવતા તેને લીધે વિદ્યાપીઠમાં વિવાદ ઊબો થયો છે. સોમવારે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ સાગમટે રાજીનામાં આપી દીધા છે, જોકે હજુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. અન્ય ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓ સંવાદ કરશે, ત્યાર બાદ નિર્ણય કરવામાં આવશે.
ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાંથી સુદર્શન આયંગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર, ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામીક શાહ અને નીતા હારડીકર નામના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે. કુલપતિની નિમણૂકથી નારાજ થઈને રાજીનામાં આપ્યા છે તથા કુલપતિની નિમણૂકને લઈને રોષ પણ ઠાલવ્યો હતો. જેમાં લખ્યું છે કે, કુલપતિની પસંદગી બાબતે વિદ્યાપીઠના માપદંડ જાળવવામાં આવ્યા નથી. અને બીન ગાંધીવાદીની નિમણૂંક કરવામાં આવી છે. 102 વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ મૌખિક દબાણ શરૂ થયું છે. આચાર્ય દેવવ્રત અંગે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, સરકારને ટેકો આપનારા ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ગૂજરાત વિદ્યાપીઠને વિશ્વચોકમાં ક્ષોભમય સ્થિતિમાં મૂકી દીધું છે. શું તેમને ગાંધી વિચારને છેદ દીધો હોય તેવું નથી લાગતું. ગાંધીજીના વિચાર માત્ર પ્રાકૃતિક ખેતી, ગોસંવર્ધન કે કુદરતી ઉપચાર સુધી સમિતિ નથી. અહિંસાના રસ્તાના સર કહેવાની હિંમત જરૂરી છે. તે વિનાનો ગાંધી અધૂરો છે. અંતર આત્માના અવાજને સાંભળી અને અનુસરીને સામુહિક રીતે રાજીનામાં આપવામાં જ શાણપણ સમજીએ છીએ.
ગુજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલસચિવ નિખિલ ભટ્ટે ખુલાસો કરી જણાવ્યું હતું કે, 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠની મંડળની બેઠક મળી હતી, જેમાં 9 ટ્રસ્ટીઓએ નિવેદન આપીને 8એ રાજીનામાં આપ્યા છે. રાજીનામાં ઉપર ચર્ચા કરીને ના સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજીનામાં આપનાર 8 ટ્રસ્ટીઓએ સાથે અન્ય 8 ટ્રસ્ટીઓ સંવાદ કરશે.