કોરોનાને લીધે ટ્યુશન ક્લાસના સંચાલકોને ફટકોઃ ઓનલાઈન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. સ્કૂલોમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું. ત્યારે ખાનગી ટ્યૂશન ક્લાસીસ તથા કોચિંગ ક્લાસીસમાં પણ ઓનલાઇન અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીઓ એટલો રસ ન લેતા હોવાના કારણે ટ્યુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જેના કારણે ટ્યુશન અને કોચિંગ ક્લાસના સંચાલકોની આજીવિકા ઉપર પણ અસર પડી છે.
રાજ્યના મહાનગરોથી લઈને નાના શહેરોમાં પણ અનેક ટ્યુશન કલાસિસ આવેલા છે. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ આવે તે માટે મોટાભાગના વાલીઓ પોતાના સંતાનોને ઉંચી ફી ભરીને ટ્યુશન ક્લાસમાં મોકલતા હોય છે. એટલું જ નહીં પણ હવે તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ટ્યુશન કલાસ શરૂ થયા છે તમામ ટ્યુશન કલાસિસ કોરોનાના વધતા સંક્રમણને લીધે હાલ બંધ છે. આથી ટ્યુશન કલાસના સંચાલકો અને એમાં સેવા આપતા શિક્ષકો બેકારીનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદમાં 2 હજારથી વધારે ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસ આવેલા છે. પરંતુ ગત વર્ષના માર્ચ મહિનાથી કોરોનાની શરૂઆત થઇ હતી. જેના કારણે ઓફલાઈન ક્લાસ બંધ કરવામાં આવ્યા અને ઓનલાઈન ક્લાસ શરૂ થયા હતા. ઓનલાઈન ક્લાસ શરૂ થતાં જ વિદ્યાર્થીઓની સંખ્યામાં 60થી 70 ટકા ઘટાડો થયો હતો..જેના કારણે ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને કોચિંગ ક્લાસિસ સંચાલકોની આવક પણ ઘટી છે. સંચાલકોને કોરોના અગાઉ 2 લાખ થી 10 લાખ સુધીની આવક થતી હતી જે હવે બંધ થઈ ગઈ છે અને કેટલાક સંચાલકોએ નુકસાન વેઠીને ભાડું ભર્યું છે અને કેટલાક સંચાલકોએ બીજો ધંધો શરૂ કરી દીધો છે.