1. Home
  2. ગુજરાતી
  3. ગાયોને બચાવવા માટે બાળકોએ પોતાના ગલ્લાંમાંથી બચાવેલી રકમ પાંજરાપોળને દાનમાં આપી

ગાયોને બચાવવા માટે બાળકોએ પોતાના ગલ્લાંમાંથી બચાવેલી રકમ પાંજરાપોળને દાનમાં આપી

0
Social Share

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ 150 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળ બનાસકાંઠામાં છે. જો કે પાંજરાપોળમાં રખાયેલા પશુઓના નિભાવ ખર્ચ માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા સહાય અંગે કોઈજ વિચાર ના કરતા ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે જેથી હવે સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દાન માટેની મદદ માગવામાં આવતા દાતાઓ જ નહીં પણ બાળકો પણ પીજી બેન્કમાંથી બચત કરેલી રકમ દાનમાં આપી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસાના 15 થી 20 બાળકો પોતાના એક-એક રૂપિયો ભેગા કરેલ ગલ્લો લઈ કાંટ પાંજરાપોળમાં દાન કરવા પહોંચ્યા હતા. બાળકોએ પોતાના ગલ્લા તોડીને બચાવેલા તમામ પૈસા પાંજરાપોળના સંચાલકોને આપી ગૌમાતાની સહાય કરી હતી. કોરોના મહામારીના સમયમાં દાનની આવક ઘટી જતા બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી બની છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 150 થી પણ વધુ ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જે તમામ મુખ્યત્વે દાનની આવક પર નિર્ભર છે અને દાનની આવક થકી જ આ ગૌશાળામાં રહેલા અંદાજિત એક લાખથી પણ વધુ પશુઓનો નિર્વાહ ચાલતો હતો. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. ધંધા-રોજગાર ઠપ્પ થતા જ દાનની આવક પણ નહિવત જેટલી થઇ ગઇ છે.

હવે પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોને પશુઓને નિભાવવા મુશ્કેલી સમાન બની ગઈ છે અને તેથી ગૌશાળાઓમાં અત્યારે પશુઓની હાલત પણ દયનીય બની છે. જે માટે ગત વર્ષે તો ગૌશાળાના સંચાલકોએ આંદોલન કરતાં સરકારે સહાય કરી હતી. પરંતુ આ વર્ષે હજુ સુધી કોઈ સહાય અપાઈ નથી અને દાનની આવક પણ અત્યારે બંધ જેવી છે જે માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોએ આ વર્ષે પણ સહાય માટે વારંવાર રજૂઆત કરી હતી.

કલેક્ટરથી લઈ મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરવા છતાં પણ હજી સુધી આ મામલે કોઇ જ વિચાર કર્યો નથી ત્યારે વારંવાર સોશિયલ મીડિયામાં ગૌમાતાની કફોડી સ્થિતી અંગેના સમાચાર જોતા ડીસામાં કેટલાક બાળકોના હદય દ્રવી ઉઠ્યા હતા અને તેઓએ પોતાની પોકેટ મનીમાંથી બચાવીને ભેગા કરેલા પૈસા આજે ગૌશાળામાં દાન કરવા માટે આવી પહોંચ્યા હતા. 15 થી 20 જેટલા બાળકોએ પોતે એક રૂપિયો ભેગો કરીને  ભરેલો ગલ્લો લઈને કાંટ પાંજરાપોળમાં  પહોંચ્યા હતા જેમ ટીંપે ટીંપે સરોવર ભરાય છે તેમ તેમનાથી બનતી નાની નાની બચત કરી તેઓએ ગાય માતાની સેવા કરવા પ્રયાસ કર્યો છે, સરકારે પણ બાળકો પાસેથી શીખ લઈ માતા તરીકે પૂજાતી ગાયોને બચાવવા માટે સહાય આપે તેવી અપીલ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code